Mansa: લગ્ન નોંધણીના કાયદામાં રાજ્ય સરકાર દ્વારા સુધારો કરવાની માંગ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

લગ્ન નોંધણીના કાયદામાં સરકાર દ્વારા સુધારો કરવાની ઉગ્ર માંગ સાથે આજે માણસા ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા જનક્રાંતિ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંદાજે 35થી વધુ ગામના આગેવાનો, સરપંચો પણ હાજર રહ્યા હતા અને આ મુદ્દાને સમર્થન આપ્યું હતું. લવ જેહાદથી લઈને ઘણા કિસ્સામાં દીકરીઓ બહેકાવામાં આવી જતી હોય છે. જેના કારણે યુવતીથી લઈને તેના પરિવારને જે સહન કરવાનો વારો આવે છે તે બાબતે આંખ ખોલતી વાત આજની બેઠકમાં કરવામાં આવી હતી.

પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજુરી ફરજિયાત, લગ્ન નોંધણી યુવતીના રહેણાંક વિસ્તારમાં જ થાય, લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 30 થી 45 દિવસ અગાઉ કરવામાં આવે, સાક્ષી પણ એજ વિસ્તારના હોવા જોઈએ, એન્ટિ રોમિયો સ્ક્વોડની રચના કરી તેને ઝડપથી કાર્યરત કરવા સહિતની માગણી આજની જનક્રાંતિ સભામાં કરવામાં આવી હતી. આજની આ સભા અને રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં બેનરો સાથે જોડાઈ હતી. છેલ્લા ઘણા સમયથી યુવતીઓના ગૂમ થવાના અને છેલ્લે પરિવારને ખબર પડે છે કે તેણે લગ્ન કરી લીધા છે.

વિધર્મીઓ પણ યુવતીઓને પોતાના શિકાર બનાવી રહ્યા છે. આ બધા ચોંકાવનારા કિસ્સાઓ જે બની રહ્યા છે તેને લઈને એસપીજી દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા સહિતની માગણી શરૂ કરાઈ છે. એસપીજીના આગેવાનોનું કહેવું છે કે, લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને અગાઉથી કરવામાં આવે તો તેમને પણ જાણ થવી જરૂરી છે કે, તેમની દીકરી કોની સાથે લગ્ન કરી રહી છે, કેવા પરિવારમાં કરી રહી છે. કારણકે ઘણીવાર યુવતીઓ ઈમોશનલ બહેકાવામાં આવી જાય છે, સમાજ બહાર દીકરીઓ જાય છે અને પછી જે તે યુવકો પણ સંપત્તિ માટે થઈને યુવતીઓને ટાર્ગેટ બનાવે છે. લગ્ન કરી લીધા પછી સંપત્તિ લેવા માટે પ્રયાસ કરે છે અને તે માટે યુવતીને ત્રાસ આપે છે. આવા કિસ્સાઓને અટકાવવા માટે થઈને લગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવા ખૂબ જરૂરી બન્યું હોવાનું જણાવાયું છે. આ બાબતે સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *