મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.31 ડિસેમ્બર 2025ના રોજ બહાર પડેલા નોટિફિકેશન બાદ હવે વિજાપુરમાં 120 જેટલી નવી સોસાયટીઓનો સત્તાવાર સમાવેશ થયો છે.પાલિકાનું ક્ષેત્રફળ અને વસ્તી વધતા હવે વિજાપુર નગરપાલિકાને સ્પેશિયલ કેસ ગણીને અપગ્રેડ કરવામાં આવે તેવી રજૂઆત સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.
ધારાસભ્યની સરકારને રજૂઆત
વિજાપુર નગરપાલિકાની હદમાં લાંબા સમય બાદ વધારો કરવામાં આવતા શહેરનું ભૌગોલિક વિસ્તરણ થયું છે.ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત અને તેની આસપાસ વિકસિત થયેલી 120 જેટલી સોસાયટીઓ હવે વિજાપુર નગરપાલિકાનો હિસ્સો બની છે.આ નવા વિસ્તરણને કારણે શહેરની વસ્તી 50 હજાર કરતા પણ વધી ગઈ છે. ત્યારે વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ સરકારમાં રજૂઆત કરી છે કે, વસ્તી અને વિસ્તાર વધતા પાલિકાને હવે ‘અ’ ગ્રેડમાં અપગ્રેડ કરવી જોઈએ.
પાલિકાને અપગ્રેડ કરી વધુ ગ્રાન્ટ ફાળવવી
તેમણે સ્પેશિયલ કેસ માટેનું કારણ આપતા જણાવ્યું હતું કે, વિજાપુર એ પ્રખર જૈન મુનિ બુદ્ધિસાગર મહારાજનું જન્મસ્થળ છે અને અહીંથી નજીક મહુડી, અગલોડ અને મગરવાડા જેવા મહત્વના યાત્રાધામો આવેલા છે. હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવતા હોવાથી અને નવી ભળેલી સોસાયટીઓમાં રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે પાલિકાને અપગ્રેડ કરી વધુ ગ્રાન્ટ ફાળવવી અનિવાર્ય છે.
