સાયલાના ચોરવીરા ગામની સીમમાં ફરી એકવાર એક જ સ્થળે કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખોદકામ ચલાવી રહેલા ખનીજ માફીયાઓના કારસ્તાન પર જિલ્લા SOG પીઆઇ ભાવેશ સીંગરખીયા તથા ટીમ દ્વારા કરાયેલ દરોડામાં મોટા પ્રમાણમાં થઈ રહેલી ખનીજચોરી નો પર્દાફાશ થવા પામ્યોહતો. SOGના દરોડા સમયે મોટા વિસ્તારમાં કોલસો ઉલેચવા ગાળેલા 20થી 25 જેટલા કુવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા છે. જ્યારે 100 ફૂટથી વધુ અંદર જોખમી રીતે કામ કરી રહેલા શ્રામિકો ને રેસ્ક્યુ કામગીરી કરી બહાર કાઢી નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
SOG દ્વારા આગળની કાર્યવાહી સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સોંપતા ભૂસ્તર વિભાગની ટીમે ત્યાં પહોંચી કુવાઓની માપણી સહિતની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે છેલ્લા 1 માસમાં ચોરવીરામા તંત્ર દ્વારા કરાયેલ પાંચ દરોડા છતાં કોલસાનું ખનન બંધ થયું નથી ત્યારે બેફામ બનેલા તત્વો દ્વારા ફરીવાર ત્યાં જ મોટાપાયે ખોદકામ શરૂ કરી દેતા જવાબદાર જિલ્લા ખાણ ખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
સાયલા તાલુકા ગ્રામ્યમાં 24 કલાકના સમયગાળામાં SOG દ્વારા ખનીજ ચોરી સામે આ બીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તંત્ર મેદાનમાં આવતા ખનીજ માફીયાઓ હાલ પૂરતા પોતપોતાની માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના વાવડ મળી રહ્યા છે.
