સુરત શહેરના રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસે જાણીતા ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે રૂ.19,28,39,69,000 (આશરે 1928 કરોડ) થી વધુની મસમોટી ઉચાપત અને ફોર્જરી મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કેસ ‘શાંતિ રેસિડેન્સી’ પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે.
સુરત ઇકો સેલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ સત્તા અને પદનો દુરુપયોગ કરીને આ મુજબના ગંભીર ગુના આચર્યા છે: ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે ખોટા અને બોગસ રાજીનામા તૈયાર કરવામાં આવ્યા હતા. દસ્તાવેજોમાં મૂળ વ્યક્તિની જાણ બહાર ખોટી સહીઓ કરીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું. ભોગ બનનારને એવી ધમકી આપવામાં આવી હતી કે જો આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે, તો તેમને પરિવાર સહિત જાનથી મારી નાખવામાં આવશે.
ખોટી સહીઓ કરી આચર્યુ હતુ કૌભાંડ
ઇકો સેલ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં મુખ્યત્વે આ શખ્સોનો સમાવેશ થાય છે:1. ચુનીભાઈ હરીભાઈ ગજેરા, 2. વસંત હરીભાઈ ગજેરા, 3. અશોકભાઈ હરીભાઈ ગજેરા, 4.રાકેશભાઈ ગીરધરલાલ ગજેરા, 5. બકુલભાઈ હરીભાઈ ગજેરા. આ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો સામે પણ તપાસ ચાલુ છે. આટલી મોટી રકમની ઉચાપત હોવાથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરત ઇકો સેલની આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક ગુનાની કાર્યવાહી માનવામાં આવે છે. આ ઘટનાને પગલે સુરતના બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
