સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી આકરી ગરમી પડી રહી છે. ત્યારે બુધવારે ગરમીથી રાહત મેળવવા વઢવાણના શનીદેવ મંદિર પાસે આવેલ ચેકડેમમાં બે યુવાનો ન્હાવા પડયા હતા. અને તેઓ ચેકડેમના ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ અંગેની જાણ થતા થતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તપાસ કરતા બન્નેના મૃતદેહ હાથ લાગ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળો આકરો સાબીત થઈ રહ્યો છે. લોકો ગરમીથી મુકિત મેળવવા અવનવા પ્રયાસો કરે છે. ત્યારે વઢવાણમાં રહેતા ર યુવાનો સુમીતભાઈ ગોવિંદભાઈ રાઠોડ અને તન્મય અશોકભાઈ ચૌહાણ બુધવારે સાંજના સમયે વઢવાણના ઘરશાળા રોડ પર શનીદેવ મંદિર પાસે આવેલ ચેકડેમમાં ન્હાવા પડયા હતા. આ યુવાનો થોડીવારમાં ચેકડેમના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતા બચાવો બચાવોની બુમો પાડતા આસપાસના લોકોને જાણ થઈ હતી. આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ, વિજયસીંહ, અશોકસીંહ સહિતની ટીમ ઘરશાળા રોડ પર આવેલ શનીદેવ મંદિર પાસે દોડી ગઈ હતી. અને પાણીમાં તપાસ કરતા બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે બનાવની જાણ થતા વઢવાણ પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી અને મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને મોકલી વધુ તજવીજ હાથ ધરી છે.
