થાનમાં રહેતા પરીવારની સગીર દિકરીને ટેટુ બનાવતા શખ્સ સાથે આંખ મળી ગઈ હતી. ત્યારે દુકાને કોઈ ગ્રાહક ન હોય તેવા સમયે આ શખ્સ સગીરાને બોલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો હોવાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
થાન પંથકમાં સગીરાઓ સાથે અઘટિતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હજુ થોડા દીવસ પહેલા જ સગીરા સાથે 2 શખ્સોએ કુકર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ વર્તમાન જુન માસના છેલ્લા 20 દિવસમાં જ સગીરા સાથે અઘટિતની 5 ઘટનાઓ થાન પોલીસના ચોપડે નોંધાઈ છે. ત્યારે આવો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. આ અંગે થાન પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ થાનમાં રહેતા પરીવારમાં 17 વર્ષની સગીર દિકરી છે. ગામમાં ટેટુ બનાવવાની દુકાન ચલાવતા અને સંજીવની સોસાયટીમાં રહેતા અજય બટુકભાઈ ઓગાણીયા ચારેક માસ પહેલા તેની સામે હસતો હતો અને બાદમા પ્રપોઝ કર્યુ હતુ. બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ અજય અવારનવાર તેની દુકાને કોઈ ન હોય ત્યારે બોલાવી લગ્નની લાલચ આપી કુકર્મ કરતો હતો. બાદમાં લગ્ન કરવાની ના પાડી હતી. આ વાત સગીરાએ પરીવારજનોને જણાવતા પરીવારે સમજાવતા સગીરાએ સબંધ તોડી નાંખ્યા હતા. ત્યારે તા. 22-6ના રોજ ફરીવાર અજયે સગીરાનો પીછો કર્યો હતો. આ અંગે સગીરાની માતાએ અજય ઓગાણીયા સામે થાન પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વી.કે.ખાંટ ચલાવી રહ્યા છે.
થાનમાં સગીરાના ઘરે જઈ છેડતી કરી
થાનમાં રહેતી વિધવા મહિલાને સંતાનમાં 17 વર્ષની દિકરી છે. તેમના કૌટુંબીક જેઠના વેવાઈનો દિકરો ઉદય કનાભાઈ વાઘેલા મુળી તાલુકાના ખાખરાળા ગામનો અગાઉ દિકરી શાળાએ જતી ત્યારે તેને મળવા જતો હતો. આથી પરીવારે દિકરીને શાળાએ મોકલવાનું બંધ કર્યુ હતુ. તા. 24-6ના રોજ સવારે માતા સીરામીકમાં મજુરી કામે ગઈ હોય અને સગીરા ઘરે એકલી હતી ત્યારે ઉદય તેના ઘરે આવ્યો હતો. જેમાં સગીરાએ ઘરે આવવાની તને ના પાડી તોય કેમ આવ્યો તેમ કહેતા બાવડુ પકડી છેડતી કરી હતી. આ અંગે સગીરાની માતાએ થાન પોલીસ મથકે ઉદય કનાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.
