- 125 દુકાનદારો પાસેથી લાઇફ્ ટાઇમ મેન્ટેનન્સના નામે નાણાં ખંખેર્યા
- દુકાનદારો સૂર્યા પ્લાઝા કોમ્પલેક્સના બિલ્ડરો સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે પહોંચ્યાં
- સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
રાજકોટની ગોઝારી ઘટના બન્યા બાદ ગુજરાતમાં એક બાદ એક ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ ચાલી રહી છે. અને કોમ્પ્લેક્સોની પણ તપાસ ચાલી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરો દ્વારા દુકાનો વેચી દુકાનના માલિકોને કોમ્પ્લેક્સમાં જરૂરી સુવિધા ન આપ્યા હોવાના આક્ષેપો દુકાનદાર દ્વારા કરવામાં આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, રાજપીપળા ખાતે વર્ષ 2015 /16માં બનેલા સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સમાં અલગ અલગ દુકાનો અલગ અલગ માલિકોને વર્ષ 2017/18 દરમિયાન વેચવામાં આવી હતી. ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બન્યા બાદ સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા માલિકો દ્વારા, ફાયર સેફ્ટી મેન્ટેનન્સ, કોમન પાવર બેકઅપ જનરેટર, પાર્કિંગ બાબત, કોમન ટોયલેટ , વગેરે સુવિધાઓ સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરો દ્વારા આપવામાં આવી નથી. જે અંગે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ સાથે લેખિત રજૂઆત રાજપીપળા પોલીસ મથકે કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરો દ્વારા જ્યારે આ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું. ત્યારે રાજપીપળા ફાયર વિભાગ દ્વારા તેમને ફાયર સેફ્ટીની એનઓસી આપવામાં આવી હતી કે કેમ ? તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
બીજી તરફ્ સુર્યા પ્લાઝા કોમ્પલેક્ષમાં કુલ 204 દુકાનો આવેલી છે. જેમાંથી આશરે 125 જેટલાં દુકાન માલિકો પાસેથી લાઇફ્ ટાઇમ મેન્ટનેન્સ સહિત દુકાનના રૂા.2.5 કરોડ જેટલી રકમ પડાવી લઈ છેતરપીંડી કર્યા હોવાનાં આક્ષેપો દુકાનના માલિકો દ્વારા કરવામાં આવ્યાં છે. તેમજ કેટલાંક દુકાનદારો પાસેથી મેન્ટેનન્સના પૈસા લઈ લીધા બાદ પણ તેમના દસ્તાવેજ બનાવી આપ્યાં નથી. ત્યારે આ સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
