દમણના ખારાવાડ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલી મસ્જિદ પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું. શિયા જાફરી મોમીન જમાતની આ મસ્જિદ પર તંત્રએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધી હતી.
જવાબદારોને નોટિસ આપી હતી
આ મસ્જિદ જમીનદોસ્ત કરવા માટે પ્રશાસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી પડી હતી. દમણ નગરપાલિકાની નવી ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ, આ જગ્યા પરથી સરકારી રોડ પસાર થતો હતો. આ બાબતને લઈ તંત્રએ અગાઉ જમાતના જવાબદારોને નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં બાંધકામ દૂર ન કરવામાં આવ્યું. સરકારી જમીનને ખાલી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો છતાં દબાણ દુર કરવામાં આવ્યું ન હતું. તંત્રએ વારંવાર સૂચનાઓ પણ આપી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી
જો કે જવાબદારીએ દબાણ ના દુર કરતાં આજે પ્રદેશના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાશું સિંહની આગેવાની હેઠળ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવી હતી. મસ્જિદના બાંધકામ પર બુલડોઝર ફેરવતાં, તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં જમાતના લોકોની હાજરીમાં આ કામગીરીને પૂર્ણ કરી હતી.
