મહેસાણાના સાંપાવાડાની જાગૃતિ વિદ્યાલયનીની પ્રેરણાદાયી પહેલ:'ઝીરો પીરિયડ'થી બોર્ડમાં મેળવ્યું 100 ટકા પરિણામ, વિદ્યાર્થીએ કહ્યું-પરીક્ષાનો ડર દૂર થયો, ટ્યુશનની જરૂર નથી પડતી

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

આજના મોંઘાદાટ શિક્ષણ અને પ્રાઈવેટ ટ્યુશનના યુગમાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની સાંપાવાડા ગામની જાગૃતિ વિદ્યાલયે સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક સમયે માત્ર 60 ટકા પરિણામ મેળવતી આ ગ્રામીણ શાળાએ ટ્યુશન પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને ‘ઝીરો પીરિયડ’નો સફળ પ્રયોગ અમલમાં મુક્યો છે. શાળાના આચાર્ય અને શિક્ષકોની મહેનતના પરિણામે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓમાં શાળાએ સતત 100 ટકા પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે. ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનના અભ્યાસ પર ભાર મુકાયો
શાળાના આચાર્ય અશોકકુમાર પટેલે જણાવ્યું હતું કે, ટ્યુશન પ્રથા નાબૂદ કરી દરેક બાળકને શાળામાં જ સમાન અને ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવા ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સવારે 10 વાગ્યે વધારાનો ‘ઝીરો પીરિયડ’ શરૂ કરવામાં આવે છે. આ માટે તમામ શિક્ષકોને અઠવાડિયાના વાર વહેંચી દેવામાં આવ્યા છે. જેમાં ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન જેવા વિષયોનું દૃઢીકરણ, પુનરાવર્તન અને શંકા નિવારણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી સુનિશ્ચિત કરવા વાલીઓનો પણ સંપર્ક કરવામાં આવે છે. કેમ્પસમાં બોર્ડની જેમ પરીક્ષા, 75 હજારનો પુરસ્કાર મળ્યો
વધુમાં આચાર્યએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પહેલાં જ સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે. ત્યારબાદ શાળાની ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓને મફત સપ્લીમેન્ટરીઓ પૂરી પાડી કેમ્પસમાં જ વાસ્તવિક પરીક્ષા જેવા વાતાવરણમાં દરરોજ પ્રશ્નપત્રો લખાવવામાં આવે છે. શિક્ષકો દ્વારા આ ઉત્તરવહીઓ સ્થળ પર જ તપાસીને ભૂલો સુધારવામાં આવે છે. આ સઘન પ્રેક્ટિસના કારણે શાળાએ માર્ચ 2024ની ધોરણ 10ની પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓ 65 ટકાથી વધુ ગુણ લાવ્યા હતા. આ જ શ્રેષ્ઠ કામગીરી બદલ શાળાને મહેસાણા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ₹75,000નો રોકડ પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ધોરણ 12માં પણ તમામ વિદ્યાર્થીઓએ 70 ટકાથી વધુ ગુણ સાથે 100 ટકા પરિણામ મેળવ્યું છે. ‘મોક ટેસ્ટના કારણે પરીક્ષાનો ડર દૂર થાય’
શાળાની વિદ્યાર્થિની ઠાકોર મિત્તલે જણાવ્યું હતું કે, નવમા ધોરણમાં તેના 76 ટકા હતા જે દસમા ધોરણમાં વધીને 85 ટકા થયા છે. અન્ય વિદ્યાર્થી સોલંકી દર્શનકુમારે જણાવ્યું કે, તેના ગુણ 75 ટકાથી વધીને 86 ટકા પહોંચ્યા છે. વિદ્યાર્થીઓના મતે ઝીરો પીરિયડ અને મોક ટેસ્ટના કારણે તેમનો પરીક્ષાનો ડર દૂર થયો છે અને તેમને કોઈ જ ખાનગી ટ્યુશનની જરૂર પડી નથી. ‘પ્રાઇવેટ ટ્યુશનમાં નથી જતા, શિક્ષકો ખૂબ મહેનત કરાવે છે’
વિદ્યાર્થી સોલંકી દર્શન કુમારે જણાવ્યું હતું કે, મારે 9મા ધોરણમાં 75 ટકા હતા અને ધો-10માં 86 ટકા આવ્યા છે. અમારી સ્કૂલમાં જે ‘ઝીરો તાસ’ લેવાય છે. તેનાથી અમને ખૂબ જ સારો ફાયદો થાય છે. અમે કોઈ પણ પ્રાઇવેટ ટ્યુશન કરતા નથી અને અહીં શિક્ષકો દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવે છે. પહેલાં તો અમારું રિઝલ્ટ ખૂબ જ ઓછું હતું. પણ અત્યારે શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત દ્વારા અમે ખૂબ ખુશ છીએ. ‘મારી દીકરીનું પરિણામ 70 ટકાથી વધુ 90 ટકાએ પહોંચ્યું’
વિદ્યાર્થીના વાલી કૃપાલસિંહે પણ શાળાના આ પ્રયોગને બિરદાવતા કહ્યું કે તેમની દીકરીનું પરિણામ 60-70 ટકાથી વધીને 90 ટકા સુધી પહોંચ્યું છે. ગ્રામીણ વિસ્તારની શાળાનો આ સફળ પ્રયોગ આજે રાજ્યની અન્ય શાળાઓ માટે માર્ગદર્શક બન્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *