Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાંથી અચાનક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. કેનાલમાં અનિયમિત પાણી આવવાના કારણે સિંચાઈ પર નિર્ભર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને લઈને માંડવી તાલુકાના 6 જેટલા ગામોના અંદાજે 400થી વધુ ખેડૂતો 320 કેનાલ ગેટ ખાતે એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અચાનક પાણી બંધ થતાં ખેડૂતોની મોટરો બળી 

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલમાં આગોતરી જાણ કર્યા વિના જ અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. સિંચાઈ માટે ચાલુ રખાયેલી મોટરો અચાનક પાણી સુકાઈ જતાં બળી ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 25થી 30 ખેડૂતોની મોટરો બળી જતાં તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ અસર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોએ કરી નિયમિત પાણી આપવાની માગ

આ વિરોધ પ્રદર્શનમાં પિયાવા, કોડાય, મસ્કા, બાગ, નાગલપુર અને પીપરી ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ માંગ કરી છે કે ગેટ-પેકેજ નિયમ પ્રમાણે કેનાલમાં 1થી 1.5 મીટર સુધી પાણીની ભરતી કરવામાં આવે અને ત્યારબાદ જ આગળના ગેટ તરફ પાણી છોડવામાં આવે. કેનાલ નિગમ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને ખેતી માટે નિયમિત અને વ્યવસ્થિત પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *