ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રાજા રણછોડરાયજીના ધામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી પર્વની અત્યંત ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે ડાકોરમાં દેશ-વિદેશથી હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. શ્રદ્ધાળુઓની લાગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને શ્રીજીના દર્શન માટે આખી રાત મંદિરના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ભક્તોએ કાનુડાના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો.
ગગનભેદી નારાઓ સાથે ભક્તિમય વાતાવરણ અને યુવાનોમાં અનોખો ઉત્સાહ
જન્માષ્ટમીની મોડી રાત્રે કાનુડાના જન્મની ક્ષણે સમગ્ર ડાકોર નગરી ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત યુવાનો અને યુવતીઓ સહિત તમામ શ્રદ્ધાળુઓ ઢોલ-નગારાના તાલે નાચતા-ગાતા કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

સેવક-પૂજારીઓની આબેહૂબ વેશભૂષા સાથે યોજાયો ભવ્ય નંદ મહોત્સવ
જન્માષ્ટમીના પાવન પર્વ બાદ બીજા દિવસે ડાકોરમાં પરંપરાગત ભવ્ય નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના સેવક-પૂજારીઓએ નંદ-યશોદા અને ગોપ-ગોપીઓની આબેહૂબ વેશભૂષા ધારણ કરી હતી. આ મનોહર વેશભૂષા સાથે મંદિર પરિસરમાં ઉત્સાહભેર મટકી ફોડ અને દહીંહાંડી મહોત્સવનું આયોજન કરાયું હતું.

માખણ-મિસરી અને ચોકલેટની ઉછામણ સાથે કૃષ્ણભક્તિનો રંગ ગાઢ બન્યો
નંદ મહોત્સવ દરમિયાન ભક્તો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ ઉલ્લાસભેર આનંદ લૂંટ્યો હતો. લોકોએ નાના ભૂલકાઓ પાસે માખણ, દહીં, ચોકલેટ અને પીપરમિન્ટની ઉછામણ કરાવીને કૃષ્ણ જન્મોત્સવની ખુશીઓ મનાવી હતી. જન્માષ્ટમી બાદ નંદ મહોત્સવની ઉજવણીથી સમગ્ર ડાકોરમાં ભક્તિનો રંગ વધુ ઘાટો અને મનોહર બન્યો હતો.

આ પણ વાંચો: Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક
