દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરી તંત્ર દ્વારા દૂધના ભાવમાં કિલોફેટ દીઠ રૂ. 50 નો મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોની આવકમાં વધારો થશે, પરંતુ બીજી તરફ સુમુલ ડેરી મારફતે પશુદાણના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવતાં પશુપાલકો માટે એક તરફ રાહત અને બીજી તરફ આર્થિક બોજ જેવી ‘કહી ખુશી કહી ગમ’ વાળી સ્થિતિ સર્જાઈ છે.
પશુદાણના ભાવ વધતાં સ્થિતિ ‘જૈસે થે’ જેવી બની
સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત નેતા જયેશ દેલાડે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દૂધના કિલોફેટમાં રૂ. 50 નો વધારો થવાથી પશુપાલકોને ચોક્કસપણે રાહત મળશે. જોકે, તેની સામે જ સુમુલ ડેરી દ્વારા પશુદાણના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. પશુદાણનો ખર્ચ વધી જતાં પશુપાલકોને મળનારો વધારાનો નફો દાણ ખરીદવામાં જ વપરાઈ જશે, જેના કારણે પશુપાલકો માટે આર્થિક સ્થિતિ પુનઃ ‘જૈસે થે’ જેવી જ થઈ ગઈ છે.

ઉત્પાદન ખર્ચમાં વધારો: પશુપાલન ક્ષેત્રે મોટા સવાલો
ખેડૂત નેતા જયેશ દેલાડે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અલ નીનોની અસર, ઘાસચારાની ભારે અછત અને પશુ આહારના સતત વધતા જતાં ભાવના કારણે દૂધ ઉત્પાદન કરવાનો ખર્ચ ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો બાદ ડેરી મારફતા ભાવવધારો તો આપવામાં આવ્યો છે, પરંતુ વધતા ખર્ચ સામે પશુપાલકો માટે આ વ્યવસાયમાં ટકી રહેવું એક મોટો પડકાર બની રહ્યું છે.

હજુ પણ વધુ ભાવવધારાની માંગણી
પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને ઉત્પાદન ખર્ચ સામે પોષણક્ષમ વળતર મળી રહે તે માટે હજુ પણ દૂધના ભાવમાં કિલોફેટ દીઠ વધુ ભાવવધારો આપવામાં આવે તેવી માંગણી પશુપાલકો અને ખેડૂત આગેવાનો મારફતે કરવામાં આવી રહી છે. પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા માટે ડેરી તંત્ર પશુદાણના ભાવમાં રાહત આપે અથવા દૂધના ભાવ વધુ આપે તે જરૂરી બની ગયું છે.


આ પણ વાંચો: Surat Crime News: સુરતના ડિંડોલીમાં કારમાંથી 1.78 લાખનો વિદેશી દારૂ જપ્ત, એકની ધરપકડ
