PMના જન્મદિવસ નિમિત્તે સુરતમાં ડિસ્કાઉન્ટની થશે વણઝાર:2400થી વધુ વેપારીઓ આપશે 76 ટકા સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, હોસ્પિટલથી લઈને હોટલ સુધી 3 લાખથી વધુ લોકોને મળશે લાભ

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા માટે સુરતના વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની અપીલ બાદ શહેરના અંદાજે 2400થી વધુ વેપારીઓ અને આરોગ્ય એકમો આ અભિયાનમાં જોડાયા છે. આ આયોજન હેઠળ જરૂરિયાતમંદ અને સામાન્ય વર્ગ સહિત ત્રણ લાખથી વધુ નાગરિકો ડિસ્કાઉન્ટનો લાભ મેળવે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2.75 લાખ જેટલા લોકોએ આ પ્રકારની ઓફર્સનો લાભ લીધો હતો. શહેરમાં 5 ટકાથી લઈને 76 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જુદા જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતની 50થી વધુ હોસ્પિટલો દ્વારા ઓપીડી સેવાઓમાં 10થી 100 ટકા સુધીની રાહત જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પેથોલોજી લેબ રિપોર્ટમાં 10થી 30 ટકા અને દવાઓ પર 10થી 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાશે. 200થી વધુ મેડિકલ સ્ટોર્સ અને 50થી વધુ ક્લિનિક્સ પણ રાહતદરે સેવાઓ પૂરી પાડશે. આરોગ્ય ઉપરાંત રોજિંદા જીવનની સેવાઓમાં પણ વ્યાપક રાહત જોવા મળશે. શહેરની 60થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં 10થી 20 ટકા છૂટછાટ જાહેર કરાઈ છે. આ સાથે સુપર સ્ટોર, બેકરી, ડેરી, મીઠાઈ-નમકીન, કાપડ બજાર, શાકભાજી તથા હેર સલૂન જેવા નાના-મોટા વ્યવસાયો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ વખતે 2400 જેટલા વેપારીઓ અલગ-અલગ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપવાના છે. સામાન્ય માણસ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઓછી કિંમતે સામાન મળી રહે અને તેઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે તેવી અમારી અપેક્ષા છે. આ વર્ષે આશરે 3 લાખ જેટલા લોકો લાભ લેશે તેવી આશા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *