અમદાવાદમાં ચર્ચિત કિંજલ રબારીના કથિત અપહરણ કાંડમાં હવે માલધારી એકતા સમિતિ સામે આવી છે. સમગ્ર વિવાદ અને સમાજમાં ઊભા થયેલા ઘર્ષણના વાતાવરણ વચ્ચે માલધારી એકતા સમિતિએ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સમિતિ દ્વારા આ વિવાદિત ઘટનાથી સમાજના લોકોને દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
માલધારી એકતા સમિતિનું મોટું નિવેદન
માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ એક જાહેર સંદેશ પાઠવીને સમાજના યુવાનોને આ મુદ્દે કોઈ પણ પ્રકારની લાગણીમાં કે આવેશમાં ન આવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. તેની સાથે જ તેમણે સમાજના વરિષ્ઠ અને જવાબદાર આગેવાનોને પણ આ વિવાદથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી કોઈ પણ ભડકાઉ કે અયોગ્ય નિવેદનો ન આપવા વિનંતી કરી છે, જેથી સામાજિક સૌહાર્દ જળવાઈ રહે.
પ્રતિક્રિયા આપતાં લગ્ન સંબંધ અંગે કરી ટકોર
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ લગ્ન સંબંધો અને કૌટુમ્બિક મૂલ્યો અંગે પણ કડક ટકોર કરી હતી. તેમણે માર્મિક શબ્દોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ‘જે પોતાના લોહીનું ન થાય, એ કોઈનું ન થઈ શકે.’ માલધારી એકતા સમિતિની આ અપીલ બાદ સમાજમાં ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદો શાંત પડે છે કે કેમ તે તરફ સૌની નજર મંડાયેલી છે.
