ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ઓરસંગ નદી કિનારે આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વરસાદને રીઝવવા માટે શિવભક્તો દ્વારા ખાસ જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષો જૂની લોકમાન્યતા પાછળ ભેગા થયા ભક્તો
વરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત ગ્રામજનો ચિંતામાં છે. ત્યારે શિવલિંગને જળમાં ડૂબાડવાથી મેઘરાજા મન મૂકીને વરસે છે તેવી વર્ષો જૂની લોકમાન્યતાને ધ્યાનમાં રાખીને આ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં જળાભિષેક કરતા પહેલા શિવભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.
માનવ સાંકળ બનાવી પહોંચાડ્યું પાણી
પૂજાવિધિ પૂર્ણ થયા બાદ ભક્તોએ અનોખી રીતે માનવ સાંકળ બનાવી હતી. ભક્તો એક લાઈનમાં ઊભા રહ્યા હતા અને ઘડા, ડોલ તથા લોટી દ્વારા એકબીજાને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આસ્થાભેર યોજાયેલા આ અનુષ્ઠાન દરમિયાન ભક્તોએ મહાદેવની આરાધના કરી મેઘરાજાને ભરપૂર વરસવાની પ્રાર્થના કરી હતી.

શિવલિંગને સંપૂર્ણપણે જળમગ્ન કરાયું
ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને સંપૂર્ણપણે પાણીમાં ડૂબાડીને જળમગ્ન કરવામાં આવ્યું હતું. લોકમાન્યતા મુજબ શિવલિંગ જળમગ્ન થતાં મેઘરાજા પ્રસન્ન થાય છે અને વરસાદ વરસાવે છે. આ માન્યતાને આધારે ભક્તોએ એકમુખે મહાદેવને પ્રાર્થના કરી હતી.

ધરતીપુત્રોની ચિંતા દૂર કરવાની પ્રાર્થના
વરસાદ ખેંચાતાં ખેતી અને ગ્રામ્ય જીવન પર અસરની ચિંતા વધી રહી છે. ત્યારે શિવભક્તોએ મહાદેવને પ્રાર્થના કરી હતી કે ખેડૂતો અને ગામલોકોની ચિંતા દૂર થાય અને રાજ્યમાં વહેલી તકે સારો વરસાદ વરસે. બહાદરપુર ગામમાં યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં આસ્થા અને વરસાદની આશા બંનેનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?
