સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકા માટે કાનૂની મોરચે નવી મુસીબત ઊભી થઈ છે. હાઈકોર્ટમાં મનપા વતી પક્ષ રજૂ કરી રહેલા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ કેસમાંથી હટી જવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે નાસીરનગરના અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલી અરજી તેમજ પોતાના સસ્પેન્શનને પડકારતી કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિની પીટીશન આ બંને કેસમાં હવે પાલિકાએ અચાનક નવા કાનૂની પ્રતિનિધિ શોધવાની ફરજ પડી છે. કમલ ત્રિવેદીએ કેસ છોડવાની જાણ કરતા તંત્રમાં દોડધામ
ડિમોલિશનની આ સમગ્ર કાર્યવાહીને પગલે મનપા અદાલતમાં પહેલેથી જ દબાણ હેઠળ છે. આવા સમયે અનુભવી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી તરીકે કેસ સંભાળી રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેસ છોડવાની જાણ કરતા જ પાલિકાના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અસરગ્રસ્ત પરિવારોના અધિકારો અને પોતાના જ અધિકારીના સસ્પેન્શન સાથે સંકળાયેલા આ સંવેદનશીલ કેસોમાં પાલિકાનો પક્ષ નબળો ન પડે તે માટે મજબૂત કાનૂની વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બની છે. મ્યુ. કમિશનરે બેઠક યોજી કાનૂની સ્થિતિની સમીક્ષા કરી
સંજોગોવશાત્ આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલે વિધિવત પદભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતાની સાથે જ તેમની સમક્ષ આ જટિલ કાનૂની વિવાદનો ઉકેલ લાવવાનો મોટો પડકાર આવી પડ્યો છે. પદગ્રહણ બાદ કમિશનર બેનીવાલે ડેપ્યુટી કમિશનર નીધી સીવાચ, ધર્મેશ મિસ્ત્રી અને મનીષ ડોકટર સાથે તાકીદની બેઠક યોજીને કાનૂની સ્થિતિની સમીક્ષા કરી હતી. હવે મનપા હાઈકોર્ટ સમક્ષ કયા વરિષ્ઠ ધારાશાસ્ત્રીને મેદાનમાં ઉતારે છે અને આગામી સુનાવણી દરમિયાન પાલિકા તરફથી શું વ્યૂહરચના અપનાવવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
સુરત મહાનગરપાલિકાની કાનૂની મુશ્કેલીમાં વધારો:નાસીરનગર કેસમાંથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ખસી ગયા હોવાની SMCને જાણ કરાઈ
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
