Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી

📅 Published: September 9, 2026 | 📂 Category: Crime

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત ૩ ઓગસ્ટના રોજ SMC ની ટીમે દરોડો પાડીને મનપસંદ જીમખાનામાંથી ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ મામલે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સહિત કુલ 6 આરોપીઓ સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અલગ-અલગ ટીમો બનાવી 6 આરોપીઓની ધરપકડ

PCB ની અલગ-અલગ ટીમો દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને છ આરોપીઓને જુદી-જુદી જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ન ઉઠાવી શકે તે હેતુથી આકરી કાનૂની જોગવાઈઓ સાથે પાસા (PASA) ના હુકમની બજવણી કરવામાં આવી છે. પાસા (PASA) હેઠળ ઝડપાયેલા મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામો પટેલ અને વિપુલ ચન્દ્રકાંતભાઈ શાહને રાજકોટ જેલ ખાતે, કિશોર દેવીલાલ પઢીયાર અને નિકુંજ ઉર્ફે કાલુ મહેશભાઈ ખત્રીને વડોદરા જેલ ખાતે, નારાયણ કમલનાથ પદમનાથ રાવલને ભુજ જેલ ખાતે તેમજ આનંદ મંગાજી મોહનભાઈ ઠાકોરને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી

અમદાવાદ પોલીસ દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતા અને ગેરકાયદે જુગારધામ ચલાવતા તત્વો સામે આ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવતી અથવા ગેરકાયદે ધાક જમાવતી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. SMC અને PCB ની આ સંયુક્ત અને આકરી કાનૂની કાર્યવાહીથી શહેરના અન્ય ગેરકાયદે અડ્ડાઓ ચલાવતા અસામાજિક તત્વોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *