અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બની રહેલા એલિવેટેડ કોરિડોરના કામમાં વિલંબને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આશરે 4.03 કિલોમીટર લાંબો આ કોરિડોર એસ જી હાઈવે પર બની રહ્યો છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રિપોર્ટ મુજબ પ્રોજેક્ટની મૂળ પૂર્ણતાની સમયમર્યાદા જૂન 2026 રાખવામાં આવી હતી. જોકે, કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નથી.
ત્રણ વખત મુદત વધારવામાં આવી
પ્રોજેક્ટની કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ વખત મુદત વધારવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. શરૂઆતમાં 1 જૂન, ત્યારબાદ 1 ઓગસ્ટ અને હવે કામગીરી દિવાળી બાદ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે એસજી હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોની મુશ્કેલીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

કરોડોના પ્રોજેક્ટનું કામ હજુ અધૂરું
ઇસ્કોન થી સાણંદ ચોકડી સુધી બની રહેલા બ્રીજમાં કામગીરી બાકી હોવાના કારણે સતત તેની પૂર્ણતા માટે તારીખ પે તારીખ ચાલી રહ્યું છે.. કામગીરી જૂનમાં પૂર્ણ થવાની પહેલી મુદત હતી જે બાદ મુદત વધારી ઓગસ્ટ કરવામાં આવી અને હવે આ મુદત દિવાળી સુધીની થઈ ગઈ છે.. જેને લઈને પણ સવાલ ઉઠ્યા છે
ભારે વરસાદ બાદ સર્વિસ રોડની સ્થિતિ સામે આવી
તાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદ બાદ એસજી હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાવાની સાથે કેટલાક સ્થળોએ રસ્તો ધોવાઈ જવાની સ્થિતિ જોવા મળી હોવાના આક્ષેપો થયા છે

બ્રિજનું કામ અધૂરું, ટ્રાફિકનો ભાર કોના માથે?
ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના મહત્વના માર્ગ પર બાંધકામની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની સીધી અસર પડી રહી છે. રોજિંદા કામકાજ, વ્યવસાય અને અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે અધૂરું કામ માત્ર પ્રોજેક્ટની સમસ્યા નથી, પરંતુ રોજની મુશ્કેલી બની ગયું છે..
વાહનચાલકોને મુશ્કેલી
ખાસ કરીને નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા સર્વિસ રોડના કેટલાક ભાગોમાં ખાડા અને નુકસાનને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરસાદ બાદ રસ્તાની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેના સર્વિસ રોડના કેટલાક ભાગોમાં પાણી ભરાવા, ખાડા અને રસ્તાને નુકસાન થવાના આક્ષેપો પણ થયા છે. જેના પગલે રસ્તાની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.
કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસની માગ
આ સમગ્ર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સર્વિસ રોડના બાંધકામમાં નબળી ગુણવત્તા હોય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટર નક્કી કરવી જોઈએ અને ટેન્ડરની જોગવાઈ મુજબ રસ્તાનું રિપેરિંગ કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવું જોઈએ.

વધારાના કામની મંજૂરી કોણે આપી
ડૉ. દોશીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રોડને થયેલા નુકસાનની જવાબદારી નક્કી કર્યા વિના આશરે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે સિમેન્ટ કોંક્રિટનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ વધારાના કામની મંજૂરી કોણે આપી અને કયા સંજોગોમાં નિર્ણય લેવાયો તે અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મૂળ ટેન્ડરની જોગવાઈ મુજબ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવાને બદલે વધારાનું કામ આપવાથી કોન્ટ્રાક્ટરને નાણાકીય લાભ થઈ શકે છે. આ નિર્ણયમાં નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ અગાઉના કામની ગુણવત્તા, સર્વિસ રોડને થયેલું નુકસાન, રિપેરિંગની જવાબદારી અને વધારાના સિમેન્ટ કોંક્રિટ રોડના કામની મંજૂરી—આ તમામ મુદ્દાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

મહત્વના કોરિડોરને વહેલી તકે પૂર્ણ કરવા માગ
હવે જોવાનું એ રહેશે કે નેશનલ હાઈવે વિભાગ અને સરકાર આ આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરે છે અને એલિવેટેડ કોરિડોરનું બાકી કામ ક્યારે પૂર્ણ થાય છે. મહત્વનું એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ મહત્વના કોરિડોરને વહેલી તકે પૂર્ણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવે..
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું
