વડોદરા શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક સુરસાગર તળાવ હાલ જળચર જીવો માટે અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ને પત્ર લખીને માછલીઓના મોતના કારણોની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
કરોડોના ખર્ચ છતાં તળાવની દુર્દશા, કૃત્રિમતાનો આક્ષેપ
નોંધનીય છે કે આશરે 9 વર્ષ અગાઉ રૂ. 38 કરોડના ભારેખમ ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે માત્ર 1 વર્ષ અગાઉ જ રૂ. 1૦ લાખના ખર્ચે એર સર્ક્યુલેશન મશીન પણ નાખવામાં આવ્યું હતું. આમ છતાં, માછલીઓના મોત અટકવાનું નામ નથી લઈ રહ્યા. સ્થાનિકો અને પ્રતિનિધિઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુદરતી તળાવને કૃત્રિમ બનાવી દેવાના કારણે જળચર જીવો માટે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
ઉકેલ નહીં આવે તો CM ને કરાશે રજૂઆત
તળાવના પર્યાવરણ અને જળચર જીવોના રક્ષણ માટે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે સીધા મુખ્યમંત્રી (CM) ને રજૂઆત કરવાની ચીમકી નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે આપી છે. સુરસાગરની ઐતિહાસિકતા અને તેના જળચર જીવોને બચાવવા માટે હવે યોગ્ય પાયાની કામગીરી થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
આ પણ વાંચો : Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ
