અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી છોડાતા હોવાના આક્ષેપો વચ્ચે અસલાલી, જેતલપુર, નાઝ અને ગીરમથા સહિતના ગામોના ખેડૂતોની ચિંતા વધી છે. મામલે ધારાસભ્યની સૂચનાથી રોપડા કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ ખાતે તાત્કાલિક બેઠક યોજાઈ હતી.
દસ્ક્રોઈ તાલુકામાથી પસાર થતી ખારીકટ કેનાલમાં વારંવાર કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે આજે દસ્ક્રોઈ ના રોપડા ખાતે યોજાયેલી બેઠકમાં કેનાલમાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાઈ હતી. અગાઉ પણ અસલાલી પાછળ નાઝ તરફ્ રાત્રિના સમયે કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. જેના કારણે કેનાલના પાણીનો ઉપયોગ કરતા ખેડૂતોના પાક અને ખેતીની જમીન પર પ્રતિકૂળ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તાજેતરમાં કેનાલમાં પ્રદૂષણને કારણે માછલીઓ મરી જવાની ફરિયાદો પણ સામે આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસ્ટ અને સાઉથ ઝોન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેનાલમાં પ્રદૂષિત પાણી છોડવાના સ્ત્ર્રોત શોધી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ખેડૂતોને સિંચાઈ માટે સ્વચ્છ પાણી મળે તે સુનિશ્ચિત કરવા તંત્રને ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ હતી. ખેડૂતોએ પણ પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
