ભરૂચના 23 વર્ષીય બ્રિજ ભટ્ટે શોખને બનાવ્યો રોજગાર:ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ બનાવી ભક્તોના ઘરોમાં પહોંચાડે છે આસ્થા

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચના ભોલાવ ગામના 23 વર્ષીય બ્રિજ ભટ્ટે બાળપણમાં માટી સાથે રમતા-રમતા ગણેશજીની પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું હતું. તેમનો આ શોખ હવે તેમની ઓળખ બની ગયો છે. તેમની હાથની કારીગરીથી બનેલી ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ ભક્તોના ઘરો અને પંડાલોમાં આસ્થાનું કેન્દ્ર બની રહી છે. બ્રિજ માટે મૂર્તિ બનાવવી એ માત્ર માટીને આકાર આપવાનું કામ નથી. તેઓ ગણેશજીની પ્રતિમા બનાવતી વખતે દરેક અંગમાં કલાત્મકતા અને ભાવના ઉમેરવાનો પ્રયાસ કરે છે. માટીથી શરૂ કરીને આકાર, રંગ, નકશીકામ અને અંતિમ સ્પર્શ સુધી તેમની કલા અને કલાકોની મહેનત દેખાય છે. શોખ કળામાં બદલાયો અને હવે તે રોજગારનું સાધન બન્યો
બ્રિજને બાળપણથી જ ગણેશજીની પ્રતિમા બનાવવાનો શોખ હતો. શરૂઆતમાં તેમણે આ કળાને માત્ર શોખ તરીકે જ અપનાવી હતી. જોકે, સતત પ્રેક્ટિસ અને નવા પ્રયોગોથી તેમની કારીગરીમાં સુધારો આવતો ગયો. સમય જતાં આ શોખ કળામાં બદલાયો અને હવે તે તેમના માટે રોજગારનું સાધન બન્યો છે. બ્રિજની આ સફરમાં પરિવારનો સહયોગ પણ મહત્વનો રહ્યો છે. ખાસ કરીને તેમના પિતા સંદીપ ભટ્ટના પ્રોત્સાહનથી તેમને પોતાની કળાને આગળ વધારવાની હિંમત મળી. પરિવારના સાથથી તેમણે મૂર્તિકળાને માત્ર શોખ પૂરતી મર્યાદિત ન રાખી, તેને પોતાની કારકિર્દી સાથે જોડી. એક પ્રતિમા પાછળ ઘણા કલાકોની મહેનત અને ધીરજ લાગે છે
ગણેશોત્સવ નજીક આવતા બ્રિજના કામમાં વ્યસ્તતા વધી જાય છે. તેઓ અલગ-અલગ આકાર અને કલ્પના પ્રમાણે ગણેશજીની પ્રતિમાઓ બનાવે છે. એક પ્રતિમા પાછળ ઘણા કલાકોની મહેનત અને ધીરજ લાગે છે. માટીના સામાન્ય પિંડમાંથી ગણેશજીનું સ્વરૂપ બનાવવાની આ પ્રક્રિયા કલાકારની કલ્પનાને સાચી કરતી હોય તેવો અનુભવ કરાવે છે. બ્રિજની આ સફર આજના યુવાનો માટે પ્રેરણારૂપ
પરંપરાગત કળા સાથે જોડાયેલા બ્રિજની આ સફર આજના યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે છે. કારકિર્દી માટે નવી તકો શોધતા યુવાનો વચ્ચે બ્રિજે પોતાની રુચિ અને કૌશલ્યને જ રોજગારનું સાધન બનાવ્યું છે. બાળપણમાં રમતા-રમતા માટીને આપેલો આકાર આજે અનેક ભક્તોની આસ્થાને સ્વરૂપ આપી રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *