ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. સુત્રાપાડામાં આવેલી આશ્રમ શાળા નજીક એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
તળાવમાંથી મળી આવ્યો ધોરણ-9ના વિદ્યાર્થીનો મૃતદેહ
સુત્રાપાડા સ્થિત આશ્રમ શાળા નજીક આવેલા નવદુર્ગા માતાજીના મંદિર પાસેના તળાવમાંથી વહેલી સવારે સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પનાદર ગામના રહેવાસી વિશ્વાસ રમેશભાઈ વંશ તરીકે થઈ છે. વિશ્વાસ સુત્રાપાડાની આ જ આશ્રમ શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો અને છાત્રાલયમાં રહીને પોતાનું ભણતર પૂરું કરી રહ્યો હતો. વહેલી સવારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું ધ્યાન તળાવમાં પડેલા આ મૃતદેહ પર ગયું હતું.

સગીરના મોતને લઈને અનેક તર્ક-વિતર્કો
વિદ્યાર્થીનો મૃતદેહ ક્ષત-વિક્ષત અને લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેના મોતને લઈને અનેક પ્રકારના રહસ્યો ઘેરાયા છે. આ હત્યા છે કે, અન્ય કોઈ અકસ્માત, તે અંગે પંથકમાં વિવિધ તર્ક-વિતર્કો વહેતા થયા છે. બનાવની જાણ થતાં જ મૃતક વિશ્વાસના પરિવાજનો તેમજ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય તપાસની માગ કરી હતી.

પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી
ઘટના અંગે જાણ થતાં જ સુત્રાપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢીને કબ્જે લીધો હતો અને તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે ફોરેન્સિક અને ટેકનિકલ ટીમોની મદદ લઈને આ મામલે પ્રાથમિક ગુનો નોંધી ઘટના પાછળનું સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા
