વલસાડમાં રેલવેના બંધ રસ્તા ખોલવા ધારાસભ્યને રજૂઆત:કેન્દ્રીય મંત્રીની સૂચના છતાં એક જ રસ્તો ખુલ્યો, બાકીના બંધ રહેતા લોકોમાં રોષ

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરમાં રેલવે હદમાં આવતા બંધ રસ્તાઓ ખોલવા માટે સ્થાનિક રહીશ પ્રીતેશ એ. પ્રજાપતિએ ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રીની સૂચના છતાં એક જ રસ્તો ખુલ્યો છે, જ્યારે બાકીના માર્ગો હજુ પણ બંધ છે. આના કારણે લોકોમાં નારાજગી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં રેલવે તંત્રએ કેટલાક રસ્તાઓ બંધ કર્યા છે. આના કારણે આસપાસના લોકોને રોજિંદા અવરજવર માટે લાંબા ફેરા ફરવા પડે છે. તેમને સમય અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. લગભગ એક વર્ષ પહેલાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડ આવ્યા હતા. ત્યારે સાંસદ ધવલભાઈ પટેલે શહેરના બંધ રસ્તાઓ વિશે રજૂઆત કરી હતી. મંત્રીએ નાગરિકોના હિતમાં રેલવે હદના બંધ રસ્તાઓ ખોલવા સૂચના આપી હતી. આ સૂચના પછી સ્ટેશન રોડ પરનો યુ.ડી.પી. હોટલ અંડરપાસ માર્ગ ખોલવામાં આવ્યો હતો. જોકે, રજૂઆતમાં કહેવાયું છે કે અન્ય કેટલાક રસ્તાઓ હજુ પણ બંધ છે. સ્થાનિકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય દ્વારા રેલવે તંત્ર સાથે વાતચીત કરીને બાકીના તમામ બંધ રસ્તાઓ પણ તાત્કાલિક ખોલાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ આવેદનપત્રની નકલ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલને પણ મોકલવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *