બાંધકામ વખતે અકસ્માત સર્જાવાના કારણે ઘણા કામદારોનાં મૃત્યુ નિપજતાં હોવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ભેખડ ધસી પડવી, બાંધકામ કરતી વખતે લિફ્ટ કે પછી અન્ય કારણોસર દુર્ઘટનાઓ બનતી હોય છે અને તેમાં માનવીની જિંદગી હોમાઈ જતી હોય છે. તાજેતરમાં જ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પણ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. કુડાસણ દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું હતું અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તાબડતોબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને ઈજાગ્રસ્તોને સાંત્વના આપવાની સાથે હોસ્પિટલ તંત્રને પણ નિર્દેશો આપ્યા હતા. પરંતુ દુઃખદ બાબત તો એ છે કે ગુજરાતમાં આવી દુર્ઘટનાઓના કારણે વર્ષે દહાડે 100થી વધુ લોકો મૃત્યુને ભેટે છે.
ગુજરાતમાં વર્ષવાર આંકડા પણ ચિંતાજનક
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા જોઈએ તો 2020થી 2024 દરમિયાન સમગ્ર દેશમાં સ્ટ્રક્ચર તૂટી પડવાની વિવિધ કેટેગરીમાં કુલ 7,979 લોકોનાં મોત નોંધાયાં છે. આ જ સમયગાળામાં ગુજરાતમાં 555 લોકોનાં મોત નોંધાયાં છે. ગુજરાતમાં વર્ષવાર આંકડા પણ ચિંતાજનક છે, વર્ષ 2020માં 104, 2021માં 103, 2022માં 103, 2023માં 127 અને 2024માં 118 મોત નિપજ્યાં હતાં. ખાસ કરીને 2023માં 127 અને 2024માં 118 મૃત્યુ દર્શાવે છે કે આવી ઘટનાઓમાં મૃત્યુના આંકમાં વધ-ઘટ થઈ રહી છે. સ્ટ્રક્ચર તૂટી પડવાના પ્રશ્નને માત્ર છૂટક અકસ્માત તરીકે અવગણી શકાય તેમ નથી. 2024માં સ્ટ્રક્ચર તૂટી પડવાથી થયેલા કુલ મૃત્યુમાં ઉત્તર પ્રદેશ 224, મહારાષ્ટ્ર 223, મધ્ય પ્રદેશ 179, રાજસ્થાન 131, ઝારખંડ 123 અને ગુજરાત 118 સાથે દેશના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે. તંત્રની દેખરેખ સામે ગંભીર પ્રશ્નો
આ આંકડા માત્ર અકસ્માતોની સંખ્યા નથી, તે બાંધકામની ગુણવત્તા, સ્ટ્રક્ચરલ સેફ્ટી, જૂની ઈમારતોની જાળવણી, નિયમિત સ્ટ્રક્ચરલ ઓડિટ અને તંત્રની દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. NCRB મુજબ 2024માં સમગ્ર દેશમાં સરકારી અને વ્યાપારિક બિલ્ડિંગ તૂટી પડવામાં 59 લોકોનાં મોત થયાં હતાં. ગુજરાતમાં આ કેટેગરીમાં 3 મોત નોંધાયાં હતાં. સાથે જ ગુજરાતમાં તમામ પ્રકારના સ્ટ્રક્ચર તૂટી પડવાના લીધે 118 મૃત્યુ નોંધાયાં હતાં. આ 118 મૃત્યુ સરકાર માટે પણ શરમજનક ગણી શકાય. કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન
આવી ઘટનાઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપમાં બેફામ ભ્રષ્ટાચાર, જવાબદારી અને જવાબદેહીના અભાવના લીધે સ્ટ્રક્ચર તૂટવાથી થયેલા મોત અંગે સરકારને સીધા પ્રશ્નો કરતા જણાવ્યું હતું કે, સરકારી અને જાહેર બાંધકામોની ગુણવત્તા તથા નાગરિકોની સુરક્ષા અંગે ભાજપ સરકાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યની તમામ સરકારી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, કચેરીઓ અને સરકારી આવાસોનું સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ થયું છે કે નહીં? કેટલાં સરકારી મકાનોને જોખમી અથવા અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યાં છે? બાંધકામની ગુણવત્તા અંગે શંકા હોય તેવી ઈમારતોમાં સિમેન્ટ, સ્ટીલ અને અન્ય બાંધકામ મટીરિયલ્સનું થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કરવામાં આવે છે કે નહીં? જ્યાં બાંધકામની ખામી અથવા બેદરકારી સાબિત થાય છે ત્યાં જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કેટલી કાર્યવાહી થઈ? ઈમારત ધરાશાયી થયા પછી વળતર આપવું પૂરતું કેમ માનવામાં આવે છે? જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા ક્યાં છે? કોંગ્રેસે સરકાર પાસે કરી માંગ
તેમણે માંગ કરી છે કે, ગુજરાત સરકાર તમામ સરકારી અને જાહેર ઉપયોગની જૂની તથા જોખમી ઈમારતોનું સ્વતંત્ર થર્ડ પાર્ટી સ્ટ્રક્ચરલ ઓડિટ તાત્કાલિક કરાવે અને તેનો જિલ્લાવાર અહેવાલ જાહેર કરે. સાથે જ નવી સરકારી ઈમારતો માટે કન્સ્ટ્રક્શન ક્વોલિટી ઓડિટ, મટીરિયલ ટેસ્ટિંગ અને સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેશન ફરજિયાત બનાવવામાં આવે. જનતાના પૈસાથી બનેલી ઈમારત જનતાના જીવન માટે જોખમ બની શકે નહીં. અકસ્માત પછી વળતર નહીં, અકસ્માત પહેલાં સુરક્ષા જોઈએ. કોન્ટ્રાક્ટરને લાભ નહીં, જનતાને ગુણવત્તા જોઈએ. કાગળ પર ઓડિટ નહીં, જમીન પર સ્ટ્રક્ચરલ સેફ્ટી જોઈએ.
બાંધકામ અકસ્માતથી ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 555ના મોત:અકસ્માત પછી વળતર નહીં અકસ્માત પહેલા સુરક્ષા જોઈએ : કોંગ્રેસ
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
