ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે આવેલા કુળદેવી રન્નાદે (રાંદલ) માતાજીના મંદિરે દર્શનાર્થે અને બેસણામાં આવેલા ગાંધીનગરના વૃદ્ધ તેમજ તેમના પુત્ર પર ટ્રસ્ટી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ભત્રીજા સાથેની માત્ર ₹6,500ની આર્થિક લેતીદેતીના સામાન્ય વિવાદમાં શ્રી ત્રવાડી બધેકા પાટીના ટ્રસ્ટીએ ઉશ્કેરાઈ જઈ વૃદ્ધ પર લોખંડની પાઇપ વડે તેમજ પુત્ર પર લાકડાની ટીપોઈથી હુમલો કરી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે વૃદ્ધની ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે ટ્રસ્ટી સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. માતાજીના દર્શન અને બેસણામાંથી બહાર નીકળતાં જ અટકાવ્યા
મળતી માહિતી મુજબ મૂળ વલ્લભીપુરના અને હાલ ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા મહેન્દ્રકુમાર પ્રભાશંકર મહેતા ગત 15 ઓગસ્ટના રોજ સાંજે સાડા છ વાગ્યાના સુમારે પરિવાર સાથે વતન આવ્યા હતા. ગામના એક પરિચિતનું અવસાન થયું હોવાથી માતાજી મંદિર પરિસરની વાડીના હોલમાં રાખેલા બેસણામાં હાજરી આપી તેઓ બહાર નીકળી રહ્યા હતા. તે વેળાએ ટ્રસ્ટની ઓફિસ પાસે હાજર ટ્રસ્ટી અલ્પેશ બધેકાએ સાદ પાડીને રોક્યા હતા અને કહ્યું હતું કે, “તમારા ભત્રીજા ભાર્ગવને મારે ₹6,500 આપવાના બાકી છે તે જાહેરમાં લોકો વચ્ચે કેમ માંગે છે, તેને સમજાવો.” પાઇપ અને લાકડાની ટીપોઈથી પિતા-પુત્રને ફટકાર્યા
વૃદ્ધ મહેન્દ્રકુમારે સમાધાનકારી વલણ અપનાવી “આટલી નાની રકમ આપી પતાવી દો, જેથી પ્રશ્ન હલ થઈ જાય” તેમ કહેતાં જ ટ્રસ્ટી અલ્પેશ બધેકા પિત્તો ગુમાવી બેઠો હતો. તેણે ગંદી ગાળો ભાંડી વૃદ્ધ પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર પર પણ લાકડાની ટીપોઈ વડે પીઠના ભાગે જોરદાર ફટકા મારી ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. બંનેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. વલ્લભીપુર પોલીસ મથકે BNS હેઠળ ગુનો દાખલ
ઈજાગ્રસ્ત વૃદ્ધ મહેન્દ્રકુમારે તાત્કાલિક વલ્લભીપુર પોલીસ સ્ટેશન પહોંચી ટ્રસ્ટી અલ્પેશ બધેકા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે BNSની કલમ 115(2), 352 અને 351(3) હેઠળ ગુનો દાખલ કરી આરોપી સામે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
વલ્લભીપુરમાં કુળદેવીના દર્શને આવેલા વૃદ્ધ અને પુત્ર પર હુમલો:₹6,500ની ઉઘરાણીના વિવાદમાં ટ્રસ્ટીએ પાઇપ અને ટીપોઈથી માર માર્યો
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
