પોતાના હાજર જવાબી સ્વભાવના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી. પટેલેને એક કાર્યક્રમમાં માઈક ન મળતા પિત્તો ગુમાવ્યો. નવસારીના વિજલપોરમાં CC રોડના ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેલા આર.સી. પટેલને માઈક ન મળ્યું. જેના કારણે સ્થળ પર હાજર મેયર અશોક ધોરાજીયા અને સ્ટેન્ડીંગ ચેરમેન મુકેશ અગ્રવાલને ખખડાવતા કહ્યું- ‘આ કંઈ બોડી-બામણીનું ખેતર છે?’ મેયરે ધારાસભ્યને મીઠાઈ ખવડાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો. તાજેતરમાં નવસારીમાં કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આર.સી. પટેલ સાથે મુલાકાત કરી પીઠ થાબડી હતી. આ અગાઉ પણ આર.સી. પટેલ વિકાસકાર્યોમાં કોન્ટ્રાકટરના કમિશન મુદ્દે જાહેરમાં નિવેદન કરી ચર્ચામાં આવ્યા હતા. માઈકની વ્યવસ્થા ન થતાં ધારાસભ્ય રોષે ભરાયા
વિજલપોરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના સંપૂર્ણ વ્હાઇટ ટોપિંગ RCC રોડનું ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.3.62 કરોડના ખર્ચે આ વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જોકે, કાર્યક્રમમાં એનાઉન્સમેન્ટ માટે માઈકની વ્યવસ્થા ન હોવાથી ધારાસભ્ય નારાજ થયા હતા. આર.સી. પટેલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ અને મેયર અશોક ધોરાજીયાને આડેહાથ લેતા વિજલપોર વિસ્તાર માટે માઈકની સામાન્ય વ્યવસ્થા પણ કેમ ન કરવામાં આવી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. મેયરની ટાપસી સામે ધારાસભ્યનો વળતો પ્રહાર
ધારાસભ્યના રોષ વચ્ચે મેયર અશોક ધોરાજીયાએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મેયરે રસ્તાના કામને લઈને પોતાની વાત રજૂ કરી હતી અને કહ્યું કે આ પહેલો રસ્તો છે. પરંતુ ધારાસભ્ય આર.સી. પટેલે તેમની વાત વચ્ચે જ રોકીને વળતો પ્રહાર કર્યો હતો. ધારાસભ્યએ અગાઉના વિકાસકાર્યનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “પહેલો રસ્તો તો મહેશ કોઠારી કરી ગયા હતા.” આ ટકોરને પગલે કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન સમગ્ર ઘટનાક્રમ તરફ ખેંચાયું હતું. મેયરે મીઠાઈ ખવડાવીને ધારાસભ્યનો ગુસ્સો શાંત કર્યો
ધારાસભ્યનો ગરમ મિજાજ જોઈ મેયર અશોક ધોરાજીયાએ પરિસ્થિતિને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ધારાસભ્યના મોઢામાં સીધો મીઠાઈનો ટુકડો મૂક્યો હતો. મીઠાઈ ખાધા બાદ વાતાવરણ થોડું હળવું થયું હતું. જોકે, ત્યારબાદ પણ આર.સી. પટેલે બંને પદાધિકારીઓને વિજલપોર વિસ્તારનું ખાસ ધ્યાન રાખવા કડક ટકોર કરી હતી. તેમણે વિકાસકાર્યોમાં વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે ભાર મૂક્યો હતો. આર.સી. પટેલ અગાઉ પણ વિકાસકાર્યો મુદ્દે જાહેરમાં ટકોર કરી ચૂક્યા છે
ધારાસભ્ય આર.સી. પટેલ પોતાના સ્પષ્ટવક્તા અને આકરા સ્વભાવ માટે જાણીતા રહ્યા છે. અગાઉ પણ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસકાર્યોને લઈને તેમણે અધિકારીઓ તેમજ પોતાના પક્ષના પદાધિકારીઓને જાહેરમાં ટકોર કરી છે. વિકાસકાર્યોમાં કોઈ બેદરકારી ન રહે તે માટે તેઓ જાહેર કાર્યક્રમોમાં પણ પોતાની નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે. ભૂતકાળમાં તેમણે વિકાસકાર્યોમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી લેવાની પ્રથા અંગે પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. રાજકીય પક્ષોને આપવામાં આવતી ટકાવારીના મુદ્દે કરેલી તેમની ટકોર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. તેમના આકરા અને આખાબોલા સ્વભાવને કારણે ક્યારેક પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેઓ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસકાર્યોને લઈને સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. વિજલપોરમાં રૂ.3.62 કરોડના ખર્ચે RCC રોડનું કામ
વિજલપોરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના માર્ગનું આધુનિકીકરણ રૂ.3.62 કરોડના ખર્ચે કરવામાં આવશે. સંપૂર્ણ વ્હાઇટ ટોપિંગ RCC રોડ બનવાથી વિજલપોર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને મજબૂત અને ટકાઉ માર્ગની સુવિધા મળવાની અપેક્ષા છે. વધતા ટ્રાફિક અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલું આ કામ નવસારી મહાનગરપાલિકાના માળખાગત વિકાસ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં મેયર અશોક ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, બાંધકામ સમિતિના ચેરમેન સુનીલ લાંજેવાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.યુ. વસાવા સહિત કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના ધારાસભ્યને માઈક ન મળતા પિત્તો ગુમાવ્યો:નવસારીના મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને ખખડાવતા કહ્યું- 'આ કંઈ બોડી-બામણીનું ખેતર છે?', 5 દિવસ પહેલા જ PMએ આર.સી.પટેલની પીઠ થાબડી'તી
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
