Vande Bharat or Rajdhani Express: વંદે ભારત કે પછી રાજધાની એક્સપ્રેસ, કઇ ટ્રેનમાં સૌથી વધુ સુવિધાઓ મળશે?

📅 Published: September 15, 2026 | 📂 Category: Business

ભારતીય રેલવેમાં રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસ બંને પ્રીમિયમ શ્રેણીની ટ્રેન છે, પરંતુ તેમના નેટવર્કની શરૂઆત અને હેતુમાં મોટો તફાવત છે. આ બંને ટ્રેન એકબીજાની સીધી હરીફ નથી, પરંતુ અલગ-અલગ જરૂરિયાતો અને મુસાફરીના અંતરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

દેશની પ્રથમ રાજધાની એક્સપ્રેસ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ થઈ હતી. તેનો મુખ્ય હેતુ દેશની રાજધાની દિલ્હીને અલગ-અલગ રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેરો સાથે ઝડપી અને આરામદાયક રાત્રિ મુસાફરી દ્વારા જોડવાનો હતો.

ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ સ્વદેશી ટ્રેન ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હીથી વારાણસી વચ્ચે શરૂ થઈ હતી. તેને મુખ્યત્વે શહેરો વચ્ચેની દિવસ દરમિયાનની મુસાફરી માટે બનાવવામાં આવી હતી.

ઝડપ અને એક્સિલરેશન

વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઇન સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે અને યોગ્ય ટ્રેક પર તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. બીજી તરફ, મોટાભાગની રાજધાની ટ્રેનોની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી રહે છે. પરંપરાગત એન્જિનથી ચાલતી રાજધાનીની સરખામણીએ વંદે ભારત સ્વયંસંચાલિત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે, જેના કારણે સ્ટેશન પર રોકાયા બાદ ફરી ઝડપ મેળવવામાં લાગતો સમય ઘણો ઓછો થઈ જાય છે.

સીટિંગ ક્લાસ અને કોચની સુવિધાઓ

સ્ટાન્ડર્ડ વંદે ભારત ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીમાં આવે છે. તેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, GPS આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, આધુનિક સસ્પેન્શન અને 180 ડિગ્રી સુધી ફરી શકતી બેઠકો મળે છે.

રાજધાની એક્સપ્રેસમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC અને થર્ડ ACમાં પરંપરાગત સૂવાની વ્યવસ્થા હોય છે. ઘણા રૂટ પર હવે નવા તેજસ-રાજધાની કોચ પણ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક દરવાજા અને બાયો-વેક્યૂમ ટોયલેટ જેવી સુવિધાઓ છે.

વંદે ભારત સ્લીપર

લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે હવે વંદે ભારતના સ્લીપર વર્ઝન પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં ગાદીવાળી બર્થ, અવાજ ઓછો કરવાની ટેક્નોલોજી, સેન્સર આધારિત લાઇટિંગ અને 1ACમાં ગરમ પાણી જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

ખાવા-પીવાની સુવિધા

વંદે ભારત એક્સપ્રેસમાં IRCTC દ્વારા આપવામાં આવતી કેટરિંગ સુવિધામાં નાસ્તો, બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર સામેલ હોય છે. મુસાફરોને બુકિંગ વખતે જ ભોજન ન લેવાનો વિકલ્પ પણ મળે છે, જેના કારણે ટિકિટનું ભાડું ઓછું થઈ જાય છે.

રાજધાની એક્સપ્રેસમાં લાંબી મુસાફરી હોવાથી સવારની ચા, નાસ્તો, સૂપ, લંચ, સાંજના નાસ્તા અને ડિનરનું નક્કી શેડ્યૂલ હોય છે. ફર્સ્ટ ACના મુસાફરોને સૂપ અને ખાસ મેન્યૂનો વિકલ્પ પણ આપવામાં આવે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *