ગુજરાતને આજે રેલવે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ખૂબ મોટી સોગાદ મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યમાં વેપાર અને માલ પરિવહનને વેગ આપવા માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. રાજ્યના શિવલખા, ભીમાસર, દેવળીયા અને ચંડીસર ખાતે ચાર નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે.
ચાર નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ દેશને સમર્પિત
આ ઉપરાંત મહેસાણાના લીંચ ખાતે નવા કાર્ગો ટર્મિનલનો ખાતમુહૂર્ત/શિલાન્યાસ સમારોહ યોજાયો હતો તેમજ ગોપાલપુર રેલવે સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા પ્રોજેક્ટ્સના કારણે ગુજરાતમાં માલસામાનના ઝડપી પરિવહન સાથે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને રોજગારીની નવી તકો ઊભી થશે.
પ્રશ્નોના કાયમી ઉકેલ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
ગુજરાતમાં મીઠાના રેલવે પરિવહન દરમિયાન અનુભવાતી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રેલવે મંત્રાલય દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ મીઠા કરતાં તેને લઈ જતા કન્ટેનર અને વેગનનું વજન વધુ થઈ જતું હતું. જેના ઉકેલરૂપે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલમાં વજનમાં હલકા અને ગુણવત્તાયુક્ત સ્ટેનલેસ સ્ટીલના વિશેષ કન્ટેનર તૈયાર કરાયા છે.
નવી સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેશન
આ ઇનોવેશનથી મીઠાનું લોડિંગ અને અનલોડિંગ અત્યંત સરળ, સલામત અને ઝડપી બનશે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું માઇન્ડસેટ હવે પરંપરાગત રીતોથી આગળ વધીને નવી સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેશન તરફ આગળ વધી રહ્યું છે.
