સંજૂ સેમસનના ફોર્મ અંગે ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ તેણે પોતાના જ અંદાજમાં ટીકાકારોને યોગ્ય જવાબ આપી દીધો છે. અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં તેણે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ સંજૂએ બીજી મેચમાં જોરદાર વાપસી કરી હતી. તેણે અફઘાન બોલરો સામે માત્ર 20 બોલમાં વિસ્ફોટક અડધીસદી ફટકારી હતી. અભિષેક શર્મા સાથે મળીને તેણે ભારતને ખૂબ જ આક્રમક શરૂઆત અપાવી હતી
22 બોલમાં 57 રનની ઇનિંગ્સ
જો કે, અડધીસદી પૂરી કર્યાના તરત જ સંજૂ આઉટ થઈ ગયો હતો, પણ ત્યાં સુધીમાં તે પોતાનું કામ કરી ચૂક્યો હતો. સંજૂ સેમસને 22 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. આ મેચમાં ટોસ જીતીને ભારતે અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. અફઘાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શકી હતી. તેમના તરફથી કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાને સૌથી વધુ 37 રન અને રાશિદ ખાને 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતીશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અર્શદીપને 2 તથા બુમરાહ, અક્ષર અને બિશ્નોઈને 1-1 સફળતા મળી હતી.
ટીમમાં કાયમી સ્થાન મેળવવા સંજૂનો સતત સંઘર્ષ
વર્ષ 2015માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર સંજૂ સેમસન આજે પણ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન કાયમી કરી શક્યો નથી. 2026 T20 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ રહ્યા હોવા છતાં, માત્ર એક-બે મેચમાં નિષ્ફળ જતાં જ તેના સ્થાન પર ફરી સવાલો ઊઠવા લાગે છે.
વૈભવ અને સંજૂ વચ્ચે પ્રતિસ્પર્ધા
ભારતના પૂર્વ દિગ્ગજ રવિચંદ્રન અશ્વિને સંજૂના આ સંઘર્ષ અંગે વાત કરતા કહ્યું કે, વારંવાર ટીમમાંથી અંદર-બહાર થવાની અસર ખેલાડીની માનસિકતા પર પડે છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસનો ઉલ્લેખ કરતા અશ્વિને જણાવ્યું કે, જ્યારે કોઈ ખેલાડી મેચ જીતાડનારી ઇનિંગ્સ રમવા છતાં ડ્રોપ થાય છે, ત્યારે તેને લાગે છે કે તેની સ્થિતિ કોઈ સમજી રહ્યું નથી. આ સાથે જ ક્રિકેટ જગતમાં હવે એ ચર્ચા પણ જોર પકડી રહી છે કે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના આગમન બાદ સંજૂ માટે ઓપનિંગ સ્લોટમાં ટકી રહેવું આસાન નહીં હોય. જો વૈભવને ટીમમાં તક આપવામાં આવે છે, તો સંજૂનું સ્થાન ફરી ખતરામાં પડી શકે છે.
