અમદાવાદ, સુરત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ રોડ અને રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જ્યારે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે.બીજી તરફ સ્કૂલોમાં પણ સ્વૈચ્છિક રીતે રજા આપવા માટે શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.

શિક્ષણ અધિકારીએ સ્કૂલોને આદેશ આપ્યો
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને જોતાં સ્કૂલ સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને સૂચન કરવામાં આવ્યું હતું કે તેઓ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને રજા બાબતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.

વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ DEO દ્વારા શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયા છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી.પરિસ્થિતિ મુજબ શાળા ચાલુ કે બંધ રાખવાનો નિર્ણય લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે.જેમાં બોડકદેવ, શાસ્ત્રીનગર, પ્રગતિનગર,નવરંગપુરા અને કેશવબાગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.રસ્તાઓ પર પડેલાં વૃક્ષોને હટાવીને ટ્રાફિક વ્યવને પૂર્વવત કરવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફાયર વિભાગને સંપૂર્ણપણે એલર્ટ રહેવા આદેશ
આગામી સમયની સ્થિતિને જોતાં તંત્ર દ્વારા ફાયર વિભાગને સંપૂર્ણપણે એલર્ટ રહેવા આદેશ કરાયો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિમાં શહેરના ચાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. અખબારનગર, મકરબા, પરિમલ અને શાહિબાગ અંડરપાસ બંધ કરાયો છે. જ્યારે શહેરમાં ભરાયેલું પાણી વહેલી તકે ઓસરી જાય તે માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે
