ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર માટે 4 નામ ચર્ચામાં, રોહિત-વિરાટના ખાસ મિત્રનું નામ પણ ચર્ચામાં!

📅 Published: September 18, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ ટૂંક સમયમાં જ પૂરો થવા જઈ રહ્યો છે. અગરકરની જગ્યાએ બીજા ઉમેદવારની શોધ BCCI દ્વારા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે હાલમાં 4 દિગ્ગજોના નામ ચર્ચામાં છે. આ રેસમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ, વર્તમાન સિલેક્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સના વડાના નામ સામેલ છે. જો કે, આ રેસમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખાસ મિત્ર પાર્થિવ પટેલનું નામ પણ સામેલ છે

પ્રજ્ઞાન ઓઝા

પૂર્વ ભારતીય ખેલાડી પ્રજ્ઞાન ઓઝા હાલના સમયમાં ટીમ ઇન્ડિયાના સિલેક્ટર છે. રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઈ તેમને પ્રમોશન આપવા અંગે પણ વિચારી રહી છે. જો કે, ઓઝાએ પણ ઇન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટ, 18 વન-ડે અને 6 T20 મેચ રમ્યા છે, જેમાં તેણે કુલ મળીને 144 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત, ઘરેલુ ક્રિકેટની વાત કરીએ તો ઓઝાએ ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચો રમી છે.

પાર્થિવ પટેલ

સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન રહી ચૂકેલા પાર્થિવ પટેલનું નામ હાલ આ રેસમાં સૌથી આગળ દેખાઈ રહ્યું છે. અજીત અગરકરની જેમ પાર્થિવ પણ વેસ્ટ ઝોનમાંથી આવે છે, જેના કારણે બીસીસીઆઈની ઝોનલ સમીકરણોની મોટી સમસ્યા પણ આપમેળે ઉકેલાઈ જશે. પાર્થિવ પટેલે ટીમ ઇન્ડિયાની સાથે-સાથે આઈપીએલ (IPL) માં પણ રોહિત અને વિરાટ સાથે ક્રિકેટ રમ્યું છે. ભારતીય ટીમ માટે પાર્થિવ પટેલે 25 ટેસ્ટ મેચ, 38 વન-ડે અને 2 T20 મેચ રમી છે, જ્યાં તેણે સારો દેખાવ કર્યો હતો. હાલમાં તે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ સાથે જોડાયેલો છે.

વી.વી.એસ. લક્ષ્મણ

સેન્ટર ઓફ એક્સલન્સના પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ શરૂઆતથી જ આ રેસમાં સામેલ છે. લક્ષ્મણ ભારત A અને ભારત અંડર-19 ટીમના હેડ કોચની ભૂમિકા પણ ભજવે છે. રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં લક્ષ્મણે અનેકવાર ટીમ ઇન્ડિયાના હેડ કોચની જવાબદારી પણ સંભાળી છે, જેના કારણે તેઓ બીસીસીઆઈની પસંદગી બનેલા છે. લક્ષ્મણે ભારત માટે 134 ટેસ્ટ મેચ અને 86 વન-ડે મુકાબલા રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનું નામ અગ્રણી દિગ્ગજોમાં લેવાય છે.

રવિ શાસ્ત્રી

ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી પણ આ રેસમાં હોવાની ચર્ચા છે. શાસ્ત્રીએ લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. અજીત અગરકરની જેમ રવિ શાસ્ત્રી પણ મુંબઈથી જ આવે છે, જેના કારણે તેઓ અગરકરના સ્થાન માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અગરકરની માફક રવિ શાસ્ત્રી પણ મોટા નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીએ 80 ટેસ્ટ અને 150 વન-ડે મેચો રમી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *