80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ બોટાદની મુલાકાત લીધી હતી. તેમણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદ ખાતે નવનિર્મિત ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી જિલ્લા પુસ્તકાલય’ની મુલાકાત લીધી હતી. આ પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા કરવામાં આવ્યું છે. 2000 ચોરસ મીટરમાં ફેલાયેલું આ વિશાળ અને અદ્યતન પુસ્તકાલય રૂ. 8.63 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ પુસ્તકાલયનું ઈ-લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ અને ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પિનાકી મેઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રી રિવાબા જાડેજાએ બોટાદ પુસ્તકાલયની મુલાકાત લીધી:80મા સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
