ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે ‘વિભાજન વિભિષિકા સ્મૃતિદિન’ની ઉજવણી કરવામાં આવી. આ દિવસે ભારતના ભાગલા દરમિયાન પીડાયેલા લાખો નાગરિકોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વેરાવળના ટાવર ચોક પાસે આવેલા આંબેડકર ગાર્ડનના પટાંગણમાં કેન્ડલ માર્ચ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા અને મુખ્ય પોલીસ નિરીક્ષક જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, ગુજરાત ભાજપ કારોબારી સભ્ય ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, કારોબારી ચેરમેન ઉદયભાઇ શાહ સહિત નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને વેપારી અગ્રણીઓ તેમજ ખાસ કરીને સિંધી સમુદાયના પરિવારો પણ આ ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા વિભાજન સમયની કરુણતા દર્શાવતું નાટક રજૂ કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ ડોક્યુમેન્ટરી નિહાળી, બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્ડલ માર્ચ યોજી વેરાવળની જે.પી. પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલ ખાતે વિભાજન સમયના સ્મૃતિચિત્રોનું નિદર્શન પણ કરાયું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીને ઇતિહાસની આ કરુણ ઘટનાથી પરિચિત કરાવી શાંતિ, એકતા અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પબદ્ધ કરવાનો હતો. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વેરાવળ નગરપાલિકા સહિતના સરકારી અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ આ સામૂહિક ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ દિવસ આપણા વિસ્તારમાં વસવાટ કરવા આવેલા નિરાશ્રિત પરિવારો અને તેમના વડીલોએ કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા તેની યાદમાં ઉજવવામાં આવે છે.
ગીર સોમનાથમાં વિભાજન વિભિષિકા સ્મૃતિદિન ઉજવાયો:લાખો પીડિતોના સંઘર્ષ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અપાઈ
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
