રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂઘ સંઘે વર્ષ 2025-26ના નફામાંથી પ્રતિ કીલો ફેટે રૂ.84 લેખે 761 મંડળીઓના 52182 દૂધ ઉત્પાદકોના ખાતામાં કુલ રૂ.75 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, આપણી પાસે પશુ છે પણ દૂધ આપતા પશુ ઓછા છે માટે હવે ટેક્નોલોજી સાથે ચાલી IVF મદદથી વાછળી જ જન્મે તેવા સીમેન ઉપયોગ કરી પશુપાલકોએ આગળ વધવાની આવશ્યકતા છે જેની સાથે સાથે રાજ્યના પૂર્વ મંત્રી સહકારી આગેવાન જયેશ રાદડિયાએ પણ દૂધમાં કોઈ પણ ભેળસેળ ચલાવી લેવામાં નહિ આવે નો સ્પષ્ટ સંકેત આપ્યો હતો અને દૂધ મંડળીના આગેવાનોને ભેળસેળ ન થાય તેની જવાબદારી લેવા માટે સૂચના આપી હતી. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2025-26માં રૂપિયા 1185 કરોડનું ટર્નઓવર થયું છે અને તેમાં 90 કરોડથી પણ વધુનો કાચો નફો થયો છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 761 મંડળીઓના 52182 દૂધ ઉત્પાદકોના ખાતામાં રૂ.75 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે આજરોજ કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે જમા કરવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં સંઘને કુલ 288 કરોડ જેટલો કાચો નફો થયો છે જેમાંથી 70% એટલે 196 કરોડ રૂપિયા રકમ પશુપાલકોને પરત ચુકવામાં આવી છે. આ સાથે તેમને જણાવ્યું હતું કે, રાજકોટ દૂધ સંઘ દ્વારા 227 દૂધ મંડળીઓના દૂધમાં ભેળસેળ સામે આવતા તેમાં કલર ઉમેરી નાશ કરી દેવામાં આવ્યો છે અને તેમની પાસેથી 97 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, અહીંયા જેમને સૌથી શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માન કરી 3 લાખથી વધુની રકમ ભાવફેર આપવામાં આવ્યો તે બહેનને પૂછતાં તેમને 70 જેટલા માલઢોર હોવાનું જણાવ્યું હતું અને તેઓ દરરોજ 100 લીટર દૂધ આપતાનું જણાવ્યું હતું આનો મતલબ એ થયો કે દુધાળા પશુઓ નથી દૂધ એ પશુઓની સંખ્યા આપણી પાસે ઓછી છે. 10-15 લીટર દૂધ આપે એવા પશુઓની આવશ્યકતા છે. હવે તો IVF થાય છે તેમાં પણ વાછળી જ આવશે તેવી ગેરેન્ટી પણ આપવામાં આવે છે માટે પશુપાલકોએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટેક્નોલોજી સાથે આગળ વધવું જ પડશે. બીજી તરફ પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય તેમજ સહકારી આગેવાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માટે હરહમેશ કામ કર્યા છે અને આગળ પણ કરવાના જ છે. દૂધ ડેરી શરૂ કરવા માટે અમે ચોક્કસ સાથ સહકાર આપશું ભલામણ પણ રાખીશું પરંતુ ભેળસેળ કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહિ. લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં રાજકોટ ડેરી દ્વારા ચલાવવામાં આવતા નથી. જે લોકો ભેળસેળ કરે છે તે મંડળીને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. અહીંયા બેઠેલા મંડળીના આગેવાનોને વિનંતી કરું છું કે ભેળસેળ ન થાય એ જવાબદારી તમારી પણ છે તમેજ કાળજી પૂર્વક ભેળસેળ વગર દૂધ આવે તેનું ધ્યાન રાખો કારણ કે રાજકોટ ડેરી તમને પૂરતો ભાવ પણ આપે છે અને પછી ભાવફેર પણ આપે છે માટે ભેળસેળ ક્યારે પણ ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટના પાળ રોડ પર યોજાયેલા રાજકોટ દૂધ સંઘના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ પરષોત્તમ રૂપાલા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા સહીત લોકો અને મંડળીઓના સભ્યો તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંત્રી જીતુ વાઘાણીએ પણ આવતા દિવસો બાયો CNG પ્લાન્ટ માટે પહેલ કરી શરૂઆત કરવા ડેરીના ચેરમેનને અપીલ કરી હતી જેમાં સરકાર પૂરતી મદદ કરશે અને સહાય પણ આપશે તેવી જાહેરાત કરી નવી પહેલ શરૂ કરવા રાજકોટ સહકારી આગેવાનોને પણ સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરી દ્વારા દૂધ મંડળીઓ પાસેથી દૈનિક હજારો લીટર દૂધની ખરીદી કરવામાં આવે છે અને નિયમીત પણે તમામ મંડળીઓના હિસાબ પણ ચૂકવવામાં આવે છે. જન્માષ્ટમીના તહેવાર પૂર્વે મંડળીઓને દૂધના ભાવફેર જમા આપવામાં આવતા પશુપલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લા દૂધ સંઘે ઉત્પાદકોને 75 કરોડનો ભાવફેર જમા આપ્યો:રૂપાલાની ટકોર દૂધ આપતા પશુઓની ઓછી સંખ્યા સામે IVF જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી પશુપાલકોએ આગળ વધવું જોઈએ, દૂધમાં ભેળસેળ નહીં ચલાવાય : રાદડિયા
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
