જૈન ધર્મના મહાતીર્થ પાલીતાણા તળેટી ખાતે ધાર્મિક આરાધનાની સાથે રાષ્ટ્રભક્તિનો એક અનોખો અને દિવ્ય માહોલ જોવા મળ્યો હતો. પૂજ્ય બંધુ ત્રિપુટી–પૂજ્ય મુનિરાજ શ્રી આગમરત્નસાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશમરત્નસાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી વ્રજરત્નસાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાતુર્માસના અગ્રણી લાભાર્થી શ્રીમતી હંસાબેન ચંદ્રકાન્તભાઈ ચોકસીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ધર્મારાધના સાથે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મારાધનાની સાથે દેશપ્રેમની અલખ જગાવતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં સમગ્ર પાલીતાણા તળેટી પરિસર જયઘોષ અને રાષ્ટ્રભક્તિના તરંગોથી ગુંજી ઊઠ્યું હતું.

બાળકો દ્વારા અમર ક્રાંતિવીરોની આકર્ષક વેશભૂષા
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળકો તેમજ ભક્તો દ્વારા વિવિધ દેશભક્તો અને અમર ક્રાંતિવીરોની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી, ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ, ડો. બી. આર. આંબેડકર અને શહીદ ભગત સિંહ જેવા મહાન રાષ્ટ્રનાયકોના જીવંત પાત્રો ભજવવામાં આવ્યા હતા. બાળકોની આ આકર્ષક રજૂઆતે ઉપસ્થિત તમામ ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ભાવિક ભક્તોનો ઉત્સાહ અને દિવ્ય અનુભૂતિ
પૂજ્ય મુનિ ભગવંતોના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિકો તેમજ દૂર-દૂરથી આવેલા હજારો ભાવિક ભક્તો જોડાયા હતા. ધાર્મિક આસ્થા અને દેશપ્રેમના આ અનોખા સંગમે તળેટી વિસ્તારમાં એક નવી ઊર્જા અને દેશભક્તિનો સંદેશ પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો – Bhavnagarના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક, ટોડી ગામે પશુપાલક પર કર્યો હુમલો…
