વડોદરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘રાહવીર’ થીમ અંતર્ગત માર્ગ અકસ્માત સમયે ઘાયલોને સમયસર મદદ મળી રહે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને અકસ્માતગ્રસ્તોની મદદ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ‘રાહવીર’ યોજના હેઠળ, માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં અથવા જરૂરી તબીબી મદદ અપાવવામાં સહાય કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન નાટકના માધ્યમથી અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં અકસ્માત બાદ પ્રથમ તબક્કે શું કરવું અને ઘાયલ વ્યક્તિને કેવી રીતે મદદ પહોંચાડવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. લોકોને અકસ્માત જોઈને પોલીસ કાર્યવાહી કે અન્ય મુશ્કેલીના ભયથી મદદ કરતા અચકાવાને બદલે માનવતાના ધોરણે મદદ કરવા અપીલ કરાઈ હતી. RTO કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે અકસ્માત બને ત્યારે માત્ર વીડિયો બનાવવાને બદલે સુરક્ષિત રીતે ઘાયલ વ્યક્તિને મદદ કરવામાં આવે અને તાત્કાલિક ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવામાં આવે. સમયસર મળેલી મદદ અનેક ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ઉજવણી દ્વારા સ્વાતંત્ર્ય પર્વને માત્ર દેશભક્તિ પૂરતો સીમિત ન રાખી, સમાજ પ્રત્યેની માનવતાની જવાબદારી સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો. ‘કોઈની મદદથી કોઈનો પરિવાર બચી શકે છે’ એવા સંદેશ સાથે આ અભિયાનને વેગ મળ્યો હતો.
વડોદરા RTOમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ:‘રાહવીર’ થીમ હેઠળ અકસ્માતગ્રસ્તોને મદદ માટે જાગૃતિ અભિયાન
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
