નવસારી ડેપોમાં ST બસે ભિક્ષુકને કચડ્યો:પાછળનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત; એક મહિનામાં બીજો બનાવ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

નવસારી સેન્ટ્રલ બસ ડેપો નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વાપીથી કાલિયાકુવા જતી ગુજરાત એસટી નિગમની બસે ડેપોમાં પ્રવેશ કરતી વખતે એક વૃદ્ધ ભિક્ષુકને અડફેટે લીધો હતો. બસનું પાછળનું ટાયર ફરી વળતાં ભિક્ષુકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વાપી ડેપોની એસટી બસ કાલિયાકુવા જવા માટે નવસારી ડેપોમાં પ્રવેશી રહી હતી. ડેપોના પ્રવેશ દ્વાર પાસે વળાંક લેતી વખતે અચાનક એક ભિક્ષુક રસ્તા પર આવી ગયો હતો. બસ ચાલક કાબૂ મેળવે તે પહેલાં જ ભિક્ષુક બસની અડફેટે આવી ગયો અને તેનું પાછળનું ટાયર તેના પર ફરી વળ્યું. ગંભીર ઈજાઓને કારણે ભિક્ષુકનું સ્થળ પર જ મૃત્યુ થયું. અકસ્માતની જાણ થતાં જ નવસારી ટાઉન પોલીસ અને ડેપો મેનેજમેન્ટનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ભીડને નિયંત્રિત કરી પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવસારી ડેપો નજીક ટ્રાફિક અને બસોની અવરજવરને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. એક મહિના અગાઉ પણ ડેપોમાંથી બહાર નીકળી રહેલી એસટી બસે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલકનો બચાવ થયો હતો. આ ઘટના ડેપો પરિસરમાં ટ્રાફિક વ્યવસ્થાપન અને ડ્રાઇવિંગ સલામતી અંગે પ્રશ્નો ઊભા કરે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *