અમેરિકાની ધરતી પરની મોરારીબાપુની ચાલીસમી કથા:હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર ખાતેથી 982મી રામકથાનો પ્રારંભ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર ખાતેથી 982મી રામકથાનો પ્રારંભ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની 982મી રામકથાનું 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે મંગલ ગાન આરંભાયું છે. અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતેથી આ કથા શરૂ થઈ છે. લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા આયોજીત આ કથા “માનસ ગુરુ પ્રસાદ” શિર્ષક અંતર્ગત ગવાઈ રહી છે. અમેરિકાની ધરતી પર બાપુ આ પહેલા 39 વખત કથા ગાન કરી ચૂક્યા છે અને આ તેમની ચાલીસમી રામકથા છે, જેના દ્વારા અમેરિકામાં તલગાજરડી વ્યાસપીઠ 40મી વખત મુખરિત થઈ રહી છે. તુલસી જન્મોત્સવની ઉજવણી અને ભારતના પચાસ કથાકારોની ઉપસ્થિતિ આ વખતે અમેરિકા ખાતે રામકથા દરમિયાન પૂજ્ય બાપુ તુલસી જન્મોત્સવની વિશેષ ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં બાપુ ભારતના પચાસ કથાકારોને અમેરિકા લઇ ગયા છે. બાપુએ 2010થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ કર્યો હતો. કૈલાસ ગુરુકુળ, મહુવાથી શરૂ થયેલા આ ઉપક્રમમાં રામકથાના ગાયકો, વાચકો, ચિંતનકારો તથા યોગદાન આપનારી સંસ્થાઓને તુલસી એવૉર્ડ, વ્યાસ એવૉર્ડ અને વાલ્મીકિ એવૉર્ડથી વિભુષિત કરવામાં આવે છે. 2010 થી 2024 સુધી ગુરુકુળ ખાતે અને ગત વર્ષે તુલસીદાસજીના જન્મ સ્થાન રાજાપુર ખાતે આ યોજાયો હતો, જે આ વર્ષે અમેરિકામાં યોજાઈ રહ્યો છે. રામચરિત માનસનું ચિંતન અને વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનો બાપુ માટે રામચરિત માનસ સ્વયં સદ્ગુરુ અને પ્રભુ રામનું વાંગ્મય સ્વરુપ છે. પ્રતિવર્ષ તુલસીદાસજીના પાવન સ્મરણમાં સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકો રામચરિત માનસ અને રામાયણ પર પોતાનું નવું ચિંતન પ્રસ્તુત કરે છે, જેને બાપુ શ્રોતા તરીકે વિનમ્રતા અને એકાગ્રતાથી સાંભળે છે. રામકથાની સાથોસાથ સાયંકાલીન સભામાં શ્રોતાઓ વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોના શ્રવણનો લાભ પ્રાપ્ત કરશે. 15મી ઓગસ્ટના ભારતના સ્વતંત્રતા દિવસે જ આ કથાનો આરંભ થયો છે તે એક સુંદર યોગાનુયોગ છે. ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ અને તિરંગા પ્રત્યે ભક્તિ અમેરિકામાં ચાલી રહેલી રામકથા દરમિયાન પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ સૌને ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી. સમયના તફાવતને કારણે તારીખ બદલાઈ ગઈ હોવા છતાં, તેમણે ભાર મૂક્યો કે 15મી ઓગસ્ટની ભાવના હૃદયમાં અકબંધ રહે છે. તેમણે રાષ્ટ્રધ્વજના સન્માન અંગે પ્રોટોકોલ અને શ્રદ્ધા વચ્ચેનો માર્મિક તફાવત સ્પષ્ટ કરતા કહ્યું કે દુનિયાભરના ધ્વજને સલામી આપવી એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે, પણ ભારતીય તિરંગા પ્રત્યે આપણી અદ્વિતીય ભક્તિ છે. આપણે અન્ય દેશોના ધ્વજને ‘સલામ’ કરીએ છીએ, પરંતુ આપણા ભારતના ધ્વજને હૃદયથી ‘પ્રણામ’ કરીએ છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *