પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુરુવારે થયો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાન શિવની પૂજા-અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આંગી કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. શિવભક્તોએ ભગવાનને બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરીને અભિષેક કર્યો હતો. પાટણ શહેરમાં સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકર્ણેશ્વર મહાદેવ, મહાષૉકાન્ત મલહારે મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પ્રથમ સોમવારે શિવાલયો ‘હર હર ભોળાનાથ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આ દિવસે શ્રી અર્ધનારેશ્વર મહાદેવ મંદિરથી વાજતેગાજતે પ્રથમ કાવડયાત્રા નીકળી હતી. આ યાત્રા પાટણના એકમાત્ર સંપૂર્ણ શિવપરિવાર સાથેના શિવાલય શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિર, દામજીરાવ બાગ પહોંચી હતી, જ્યાં શિવજીનું પૂજન-અર્ચન કરાયું હતું.
પાટણના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ પૂજા:શિવભક્તોએ બિલીપત્ર ચડાવી દૂધ-જળનો અભિષેક કર્યો, કાવડ યાત્રા પણ યોજાઈ
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
