અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર દ્વારા દેશ અને રાજ્યમાં શિક્ષકો પર થઈ રહેલી અન્યાયી કાર્યવાહી સામે આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંગઠને જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની માંગણી કરી છે. આ આવેદનપત્રમાં સાબરકાંઠાની એક પ્રાથમિક શાળાના શિક્ષક પર થયેલા અન્યાયી પગલાં રદ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઈ છે. મહાસંઘે PM POSHAN યોજનામાં શિક્ષકોને બલિનો બકરો બનાવવાનું બંધ કરવા પણ માંગ કરી છે.સંગઠન મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર, મધ્યાહન ભોજન બનાવવાની અને પીરસવાની મુખ્ય જવાબદારી કૂક-કમ-હેલ્પર્સ, સ્વસહાય જૂથો અને SMCની છે. શિક્ષકોની ભૂમિકા માત્ર મર્યાદિત દેખરેખ અને સ્વાદ ચકાસણી પૂરતી જ હોય છે. શિક્ષકોનું મુખ્ય કાર્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. તેથી, વહીવટી ખામીઓમાં શિક્ષકોને સીધા જવાબદાર ઠેરવી કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહી તાત્કાલિક રદ કરી શિક્ષકને મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા અને નીતિગત સ્પષ્ટતા કરવા મહાસંઘે માંગ કરી છે.બીજા એક કિસ્સામાં, કેરળના કાસરગોડ જિલ્લામાં શાળાકીય ક્વિઝ સ્પર્ધા દરમિયાન સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક શ્રી ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી રદ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેરળના મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરાઈ છે. મહાસંઘે આ કાર્યવાહીને રાજકીય પૂર્વાગ્રહપીડિત અને શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા પર હુમલો ગણાવી તેની આકરી ટીકા કરી છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં વિવિધ વિચારો અને રાષ્ટ્રભક્તોનું યોગદાન રહ્યું છે. યોગ્ય અધિકારીઓના અનુમોદન બાદ પ્રસારિત થયેલી પ્રશ્નાવલી માટે માત્ર શિક્ષકને જવાબદાર ગણાવવું અયોગ્ય છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગરે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષકો પર અનાવશ્યક વહીવટી ભારણ કે રાજકીય દબાણ લાવવાથી શિક્ષણનું સ્તર જોખમાય છે. આ તકે ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અસવાર દશરથસિંહ, આલ જીગ્નેશભાઈ અને રણછોડભાઈ કટારીયા સહિતના હોદ્દેદારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. સંગઠને બંને ઘટનાઓમાં શિક્ષકોને બિનશરતી ન્યાય મળે, તેમની બદલી અને નિલંબનના હુકમો તાત્કાલિક પાછા ખેંચાય અને દેશભરમાં શિક્ષકોની શૈક્ષણિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જળવાઈ રહે તે માટે સકારાત્મક નિર્ણયની અપેક્ષા વ્યક્ત કરી છે.
શિક્ષકો પર અન્યાયી કાર્યવાહી, શૈક્ષિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો:ગુજરાત અને કેરળના શિક્ષકોને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
