બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. પાલનપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલી એક દુકાનમાં ફૂડ વિભાગની ટીમે અચાનક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટા પાયે વેચાતી શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે.
698 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો કરાયો જપ્ત
ફૂડ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચતા રેલવે સ્ટેશનની દુકાનમાંથી કોઈ પણ જાતના લેબલ વગરની બરણીઓમાં ભરેલી લાલ ચટણી મળી આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજે 698 કિલો જેટલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો સીઝ કરી દીધો છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થાની બજાર કિંમત રૂપિયા 20,000થી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.

લેબલ વગર વેચાતા અખાધ્ય જથ્થાના લેવાયા સેમ્પલ
દુકાનદાર દ્વારા કોઈપણ પ્રકારના ઉત્પાદન લેબલ કે માહિતી વગર જ આ લાલ ચટણીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા ઘટના સ્થળેથી ચટણીના સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ દુકાનદાર સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો – Palanpur: બનાસકાંઠા અને વાવ-થરાદના CNG પંપધારકોની કંપનીને આખરી ચીમકી
