SBIના કેશ ઓફિસરને જામીન નહીં:બેંક સાથે 1.93 કરોડની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ, સંબંધીઓના ખાતામાં પૈસા જમા કરાવ્યા

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની રાજપીપળા શાખામાં કરોડો રૂપિયાની નાણાકીય ઉચાપત આચરનારા કેશ ઓફિસર બાંગમોય ચક્રવર્તીને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દેતાં સ્પષ્ટ અવલોકન કર્યું છે કે, આ એક પૂર્વયોજિત અને ગંભીર વ્હાઇટ કોલર ક્રાઈમ છે, જે રાષ્ટ્રીય અર્થતંત્ર અને સમાજ બંનેને નુકસાન પહોંચાડે છે. આરોપી સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને નાણાકીય છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ATM અને CDM મશીનમાં પૈસા ભરવાને બદલે ઉચાપત કરી ખોટી એન્ટ્રીઓ દર્શાવી
આરોપી બાંગમોય ચક્રવર્તી રાજપીપળા એસબીઆઈ શાખામાં કેશ ઓફિસર તરીકે કાર્યરત હતો ત્યારે બેંક પ્રશાસન દ્વારા તેને વિવિધ ATM અને CDM મશીનોમાં જમા કરાવવા માટે કુલ ₹1.93 કરોડની માતબર રોકડ રકમ સોંપવામાં આવી હતી. આરોપીએ આ રકમ મશીનોમાં લોડ કરવાને બદલે સદંતર ચાંઉ કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધી હતી. કૌભાંડ પકડાઈ ન જાય તે માટે તેણે પોતાના ઓફિશિયલ એડમિન કાર્ડ અને પાસવર્ડનો દુરુપયોગ કરી સિસ્ટમમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને મશીનોમાં વધારાનું બોગસ બેલેન્સ દર્શાવી ગોટાળો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સંબંધીઓના ખાતામાં ₹2.34 કરોડની લેવડદેવડ અને ડિજિટલ પુરાવા સામે આવ્યા
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઉચાપત કરાયેલી રકમ આરોપીએ પોતાના ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં રહેતા સંબંધીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી, જે તમામ વ્યવહારો મળીને કુલ આંકડો આશરે ₹2.34 કરોડ જેટલો થાય છે. ટ્રાન્સફર પછી પણ તેણે ઓન્ટિકો (ONTICO) એપ્લિકેશનના આઈડી-પાસવર્ડનો ગેરકાયદે ઉપયોગ ચાલુ રાખ્યો હતો. પોલીસ તપાસમાં CCTV ફૂટેજ અને કોલ ડિટેઇલ રેકોર્ડ્સ દ્વારા ગુનાના સ્થળે તેની હાજરી હોવાની સચોટ પુષ્ટિ થઈ હતી. ચાર્જશીટ દાખલ થવી એ જામીન મેળવવાનો પૂરતો આધાર નથી: ગુજરાત હાઇકોર્ટ
અદાલતમાં આરોપીના વકીલે તે નવેમ્બર-2025થી જેલમાં હોવાની અને ચાર્જશીટ થઈ ચૂકી હોવાની દલીલ કરી હતી. જોકે સરકારી વકીલે આ ગંભીર નાણાકીય ગુનો હોવાથી પુરાવા સાથે ચેડાં થવાની દલીલ રજૂ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે આ કેસમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ મોટી માત્રામાં સામેલ હોવાથી જામીન આપવાથી પુરાવા સાથે ચેડાં થવાનું જોખમ રહેલું છે. માત્ર ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાના આધારે આવા આર્થિક કૌભાંડમાં જામીન આપી શકાય નહીં, તેમ કહીને અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *