વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના માર્ગ પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં માથું ફસાઈ જવાથી 7 વર્ષીય માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી કેસમાં કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઘટના સમયના મહત્વપૂર્ણ 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ થઈ જતાં રહસ્ય વધુ ઘેરાયું છે, જેને પગલે FSLની ટીમે સ્થળ પર પહોંચીને ઓટોમેટિક દરવાજાની મિકેનિઝમ અને ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બાળકે દરવાજો ખોલતા જ અચાનક બંધ થઈ ગયો હોવાનો પ્રાથમિક ખુલાસો
FSLની ટીમે લક્ઝરી બસના ઓટોમેટિક ડોર સિસ્ટમની ચકાસણી કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, બાળકે કુતૂહલવશ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેન્સર કે પ્રેશર ખામીના કારણે દરવાજો અચાનક જોરદાર ધડાકા સાથે બંધ થઈ ગયો હતો અને બાળકનું માથું વચ્ચે ફસાઈ જતાં શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું. મહત્વના સમયના જ 15 મિનિટના ફૂટેજ ગાયબ
આ સમગ્ર દુર્ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જે સમયે આ ઘટના બની તે સમયગાળાના જ 15 મિનિટના CCTV ફૂટેજ સિસ્ટમમાંથી ગાયબ છે. આ ગંભીર બાબત સામે આવતાં પોલીસે CCTV સિસ્ટમનું DVR જપ્ત કરીને FSL લેબોરેટરીમાં મોકલી આપ્યું છે. ડિલીટ થયેલા ફૂટેજને ટેકનિકલ એક્સપર્ટ્સની મદદથી રિકવર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી બાળક ત્યાં કેવી રીતે પહોંચ્યો અને દરવાજો કેવી રીતે ઓપરેટ થયો તેની સાચી હકીકત સામે આવી શકે. પ્રસાદ લેવા નીકળેલો માસૂમ બસ પાસે પહોંચ્યો અને દુર્ઘટના ઘટી
મૂળ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના વતની રાકેશભાઈ રાઠવા છેલ્લા 2 મહિનાથી સ્થાનિક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બુધવારના રોજ તેમનો 7 વર્ષીય પુત્ર દિવ્યેશ માતાને મંદિરે પ્રસાદ લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, બાળક મંદિરે પહોંચવાના બદલે રસ્તામાં આવેલા ગેરેજમાં પાર્ક કરેલી લક્ઝરી બસ નજીક પહોંચી ગયો હતો. થોડીવાર બાદ એક અજાણી વ્યક્તિએ પરિવારને આવીને જાણ કરી હતી કે બસના દરવાજામાં એક નાનો બાળક ફસાયો છે. પિતા દોડીને પહોંચ્યા ત્યારે દીકરો દરવાજામાં જકડી ગયેલો મળ્યો હતો
આ વાત સાંભળતાં જ પિતા રાકેશભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં તેમનો નાનો પુત્ર દિવ્યેશ બસના હાઈડ્રોલિક દરવાજામાં ગંભીર હાલતમાં ફસાયેલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ બાળકને દરવાજામાંથી બહાર કાઢીને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોતાના વહાલસોયા પુત્રના આકસ્મિક મોતથી શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
લક્ઝરી બસના હાઈડ્રોલિક ડોરના સેન્સર ફેલ્યોરે બાળકનો જીવ લીધો:બાળકે કૂતુહલવશ દરવાજો ખોલ્યો ને પ્રેશરમાં દરવાજો બંધ થયો, શ્વાસ રુંધાતા મોત
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
