ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે Gen Z ના પ્રશ્નોના આપ્યા જવાબ:નેશનલ ઇન્ડક્શન 7.0માં કોરિયન હાર્ટથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી ચાલતા અતિશય વિચારો, ‘સિચ્યુએશનશિપ’થી લઈને ‘સોલમેટ’ વિષે વિવિધ પ્રશ્નો પૂછ્યા

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

તારીખ ૨૦ ઓગસ્ટ ગુરુવારે એક આત્મીય અને જીવંત સંવાદમાં ભારતની ૧૩૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમ કે IIT, IIM, NIT અને AIIMS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રથમ વર્ષના હજારો વિદ્યાર્થીઓએ વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓએ પોતાના મનના અનેક પ્રશ્નો ખુલ્લેઆમ તેમની સમક્ષ રજૂ કર્યા, લોકપ્રિય કોરિયન હાર્ટ ઇમોજીના અર્થથી લઈને વિચારોની એ અનંત શ્રેણી સુધી, જે આજના અનેક યુવાનોને રાત્રે બે વાગ્યા સુધી જાગતા રાખે છે. જ્યારે એક વિદ્યાર્થીએ પુછ્યું કે જીવનમાં ‘સિચ્યુએશનશિપ’ પસંદ કરવી જોઈએ કે ‘સોલમેટ’ની શોધ કરવી જોઈએ, ત્યારે ગુરુદેવે આ પ્રશ્નને એક નવી દૃષ્ટિ આપી. તેમણે કહ્યું – “તમારી જાતને એ બીજા વ્યક્તિની જગ્યાએ રાખીને જુઓ. જો તમે કોઈને તમારા જીવનસાથી તરીકે પસંદ કરો અને તે વ્યક્તિ તમને માત્ર એક ‘સિચ્યુએશનશિપ’ તરીકે જોવા માંગે, તો તમને કેવું લાગશે? ત્યારે તમે શું પસંદ કરશો?” કાશ્મીરની એક વિદ્યાર્થીનીએ પોતાના જીવનની બીજી એક ઊંડી મૂંઝવણ વ્યક્ત કરી. તેણે કહ્યું કે જીવનમાં બધું સારું હોવા છતાં અંદરથી એક પ્રકારની નિરર્થકતાનો અનુભવ થાય છે. ગુરુદેવે અત્યંત આત્મીયતાથી કહ્યું કે તેનો પ્રશ્ન આજે સમગ્ર વિશ્વના યુવાનોના મનમાં ચાલી રહેલા એક વ્યાપક સંઘર્ષને વ્યક્ત કરે છે. એકલતામાંથી બહાર આવવા અને જીવનમાં ફરીથી અર્થ તથા હેતુ શોધવા માટે તેમણે એક અત્યંત સરળ અને આંતરિક માધ્યમ – શ્વાસ તરફ સંકેત કર્યો. આ સંવાદ આર્ટ ઑફ લિવિંગના યુથ ડેસ્ક દ્વારા આયોજિત સાતમા નેશનલ ઇન્ડક્શન પ્રોગ્રામ (National Induction Programme) દરમિયાન થયો. આ કાર્યક્રમ એવી પેઢીને એકસાથે લાવ્યો, જે ટેક્નોલોજીના કારણે પહેલાં કરતાં વધુ જોડાયેલી છે, છતાં અંદરથી આત્મીયતા, જીવનનો અર્થ અને માનસિક સ્થિરતા શોધી રહી છે. પરંતુ સમગ્ર સંવાદમાં જે વાત વિદ્યાર્થીઓના મનમાં સૌથી વધુ અંકિત થઈ, તે હતી ગુરુદેવની સહજ જિજ્ઞાસા, તેમની રમૂજી શૈલી અને આ પેઢીને સમજવાની તથા તેની પાસેથી શીખવાની તેમની તૈયારી જે પેઢી મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં પણ સંકોચ અનુભવતી નથી. તેમણે યુવાનોને આગ્રહ કર્યો કે તેઓ એવા ગુણોને ક્યારેય ન ગુમાવે, જે યુવાનીને જીવંત બનાવે છે. તેમણે હસતાં-હસતાં કહ્યું “શરારતી બની રહો. આ જ યુવાનીની ઓળખ છે.” સાથે જ તેમણે ઉમેર્યું “તમે ગતિશીલ અને શરારતી અવશ્ય રહો, પરંતુ તમારી શરારત કોઈ બીજા માટે પીડાનું કારણ ન બનવી જોઈએ.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *