સુરતના સિંગણપોર વિસ્તારમાં દાણચોરીની મોંઘી ઘડિયાળોના વેચાણ મામલે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગલુરુ કસ્ટમ વિભાગની ટીમે સુરતમાં 10થી વધુ સ્થળોએ દરોડા પાડી અંદાજે રૂ.1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં વિદેશથી દાણચોરી કરીને લાવવામાં આવેલી ઘડિયાળોમાં હીરા ફિટ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની શંકા સામે આવી છે.
સિંગણપોર વિસ્તારમાં દરોડા
બેંગલુરુ કસ્ટમ વિભાગે કેટલાક કન્ટેનરની તપાસ દરમિયાન સુરત સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો મેળવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બેંગલુરુ કસ્ટમની ટીમે સુરત કસ્ટમ વિભાગને સાથે રાખીને સિંગણપોર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
બ્રાન્ડ્સની ફર્સ્ટકોપી ઘડિયાળો ચીન અને દુબઈથી મંગાવવામાં આવતી
તપાસમાં સામે આવ્યું છે કે નામાંકિત બ્રાન્ડ્સની ફર્સ્ટકોપી ઘડિયાળો ચીન અને દુબઈથી મંગાવવામાં આવતી હતી. આ ઘડિયાળોની કિંમત અંદાજે રૂ.2.5 લાખથી લઈને રૂ.1 કરોડ સુધીની હોવાનું તપાસ એજન્સીઓનું માનવું છે. આ માલ પ્લેન મારફતે બેંગલુરુ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવતો હતો.
રમકડાં અથવા ઇલેક્ટ્રોનિક્સનો માલ હોવાનું દર્શાવવામાં આવતું
ચોંકાવનારી બાબત એ છે કે કસ્ટમ તપાસથી બચવા માટે પાર્સલમાં ઘડિયાળોને બદલે રમકડાં અથવા ઇલેક્ટ્રોનિક્સનો માલ હોવાનું દર્શાવવામાં આવતું હોવાની શંકા છે. એરપોર્ટ પર કેટલાક પાર્સલ અંગે શંકા જતાં બેંગલુરુ SIIBની ટીમે સમગ્ર સપ્લાય ચેઇન અને નેટવર્કનું ટ્રેકિંગ શરૂ કર્યું હતું.
તપાસ શરુ
તપાસની કડીઓ સુરતના બજાર સુધી પહોંચતાં કસ્ટમ વિભાગે સિંગણપોર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. હાલ સંબંધિત વેપારીઓ અને અન્ય લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અગાઉ કેટલો માલ મંગાવવામાં આવ્યો હતો, કેટલો માલ વેચવામાં આવ્યો અને આ દાણચોરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા
કસ્ટમ વિભાગે કાર્યવાહી દરમિયાન મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે. આ દસ્તાવેજોની ચકાસણી બાદ દાણચોરીના નેટવર્કનો વ્યાપ વધુ મોટો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં જપ્તીનો આંકડો અને દાણચોરીની રકમ બંનેમાં વધારો થઈ શકે છે. હાલ કસ્ટમ વિભાગ એ દિશામાં પણ તપાસ કરી રહ્યો છે કે વિદેશથી લાવવામાં આવેલી આ ઘડિયાળોમાં હીરા કોણ ફિટ કરતું હતું અને પછી તે કયા બજાર તથા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી હતી. સુરતમાં થયેલી આ કાર્યવાહી બાદ દાણચોરીની મોંઘી ઘડિયાળોના ગેરકાયદે વેપારના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?
