આગામી પવિત્ર ઈદ-એ-મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ તંત્ર એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ, ભાઈચારો અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેરના સંવેદનશીલ અને જુલૂસના માર્ગો પર પોલીસે વિશેષ ફુટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું.
રખિયાલ અને બાપુનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ
ઈદ-એ-મિલાદ પ્રસંગે નીકળનારા જુલૂસના નિર્ધારિત રૂટ પર પોલીસ કાફલાએ રૂબરૂ ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વિસ્તારોમાં પોલીસે સંયુક્ત ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગમાં 1 DCP, 1 ACP, 5 PI, 10 PSI અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે યોજાઈ બેઠક
કોઈપણ પ્રકારની અફવા કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વહીવટી તંત્ર એ સ્થાનિક આગેવાનો સાથે મળીને પૂર્વ આયોજન કર્યું છે. તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓએ શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિના સભ્યો સાથે ખાસ બેઠક યોજી હતી. જેમાં તમામ નાગરિકોને તહેવારની ઉજવણી દરમિયાન કાયદાનું પાલન કરવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 12 થયો
