બીલીમોરા કોલેજમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

બીલીમોરાના શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બી.એડ. કોલેજ ખાતે “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વ્યાપ માટે ચલાવવામાં આવતી યોજના અંતર્ગત આ કક્ષ તૈયાર કરાયો છે. આ “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન 22 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે11:00 કલાકે કરવામાં આવ્યું. આ ઉપક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને જીવંત રાખવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે ડૉ. નલિનીબેન ગીલીટવાલા, ભુપેન્દ્રભાઈ અમીન, ભરતભાઈ અમીન અને દયાસ્વરૂપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. કલ્પેશભાઈ ટંડેલે મહેમાનોનો શાબ્દિક પરિચય આપી સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે, “સંસ્કૃત ભાષા એ ભારતીય ભાષાઓની જનની છે. જો ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને જાણવી અને સમજવી હશે, તો તેની એકમાત્ર ગુરુચાવી સંસ્કૃત ભાષા જ છે.” ત્યારબાદ મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ‘સંસ્કૃત કક્ષ’ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કક્ષમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ દર્શાવતા બેનરો, ચાર્ટ અને પુસ્તકો દ્વારા સંસ્કૃત ભાષાનું ગૌરવ જળવાઈ રહે, તેનું સંવર્ધન થાય, ભારતીય જ્ઞાન પરંપરાનું પુનર્જાગરણ થાય અને સાંસ્કૃતિક વારસો જળવાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ સંપન્ન થયો. ઉદ્ઘાટક ડૉ. નલિનીબેન ગીલીટવાલાએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા ‘સંસ્કૃત કક્ષ’ ઉપક્રમને બિરદાવ્યો. તેમણે કહ્યું કે, આવી મૂલ્યસભર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જાગૃત કરી શકાય છે, જેનાથી તેઓ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજશે. આ કાર્યક્રમ સંસ્કૃત વિષયના અધ્યાપક અને સંસ્કૃત કક્ષના નોડલ ઓફિસર ડૉ. કિરીટ ચૌહાણના આયોજન અને વ્યવસ્થાપન હેઠળ યોજાયો હતો. બીલીમોરા વિભાગ કેળવણી મંડળના અન્ય પદાધિકારીઓ, મંડળ સંચાલિત વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો મોટી સંખ્યામાં હાજર રહી સંસ્કૃત કક્ષની મુલાકાત લીધી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *