હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી રાહ જોવડાવી રહેલા દુર્ગા ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં મોટી પ્રગતિ જોવા મળી રહી છે. બ્રિજના સુપરસ્ટ્રક્ચર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા બાકીના ૯ સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
હિંમતનગરવાસીઓ માટે ગુડ ન્યૂઝ
આ ભારેખમ સ્ટીલ ગર્ડરને ચોકસાઈપૂર્વક પિલર પર ગોઠવવા માટે બે મહાકાય અને હાઇ-કેપેસિટી ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજના કામકાજ દરમિયાન અગાઉ પ્રથમ તબક્કામાં 4 સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા, અને હવે બાકીના 9 ગર્ડર મૂકાતાં જ બ્રિજનું માળખું આકાર લઈ લેશે.ગર્ડર લોન્ચિંગની આ જટિલ કામગીરી પૂર્ણ થયા બાદ બ્રિજ પર સ્લેબ કાસ્ટિંગ (ઢાળવાની) કામગીરી અને રોડ એપ્રોચ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. એન્જિનિયરિંગ ટીમ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે વધારાનું મેનપાવર લગાડવામાં આવ્યું છે.
દુર્ગા ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગનું કામ શરુ
દુર્ગા ઓવરબ્રિજ બંધ હોવાને કારણે હિંમતનગરના આંતરિક માર્ગો પર દરરોજ ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાતી હતી. બ્રિજ શરૂ થતાં જ વાહનચાલકોનો સમય અને બળતણ બંને બચશે. જો હવામાન અનુકૂળ રહેશે અને કામગીરી આ જ ઝડપે ચાશે તો તંત્રની ગણતરી દિવાળીના તહેવાર પૂર્વે જ આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવાની છે.ગર્ડર લોન્ચિંગ દરમિયાન આસપાસના વિસ્તારમાં સુરક્ષાના તમામ કડક ધોરણો જાળવવામાં આવી રહ્યા છે જેથી કોઈ અણબનાવ ન બને.
