Bhavnagar લઠ્ઠાકાંડમાં દિલ્હી સુધી SMCની 16 ટીમો તપાસમાં, 5થી વધુ ટીમોના વિવિધ રાજ્યોમાં દરોડા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ 16 જેટલી ટીમોને તપાસમાં ઉતારી છે. ગુજરાતની અંદરથી લઈને અન્ય રાજ્યો સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં લઠ્ઠાકાંડ મામલે 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

8 જેટલી ટીમોની ભાવનગરમાં જ તપાસ 

SMCની 16 ટીમોમાંથી 8 જેટલી ટીમો હાલ ભાવનગરમાં જ સક્રિય રહીને તપાસ કરી રહી છે. આ ટીમો લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા આરોપીઓ, દારૂના સપ્લાય નેટવર્ક, કાચા માલ અને અન્ય મહત્વના પાસાઓની તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

SMCની 3 ટીમોની ગુજરાતના અન્ય વિસ્તારોમાં તપાસ 

ભાવનગર ઉપરાંત SMCની 3 જેટલી ટીમો ગુજરાતના અન્ય વિસ્તારોમાં તપાસ કરી રહી છે. જ્યારે 5થી વધુ ટીમોને રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત કુલ 5 જેટલા રાજ્યોમાં તપાસનો વ્યાપ વિસ્તર્યો છે.

વિવિધ રાજ્યોમાં પણ ઉંડી તપાસ 

લઠ્ઠાકાંડના તાર રાજ્યની સરહદ બહાર સુધી પહોંચ્યા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દારૂ બનાવવા માટે વપરાતા પદાર્થો ક્યાંથી આવ્યા, સપ્લાય ચેઇન કેવી રીતે કાર્યરત હતી અને આ સમગ્ર ગેરકાયદે નેટવર્ક સાથે અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે.

વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા 

એક તરફ ભાવનગરમાં SMCની 8 ટીમો મેદાનમાં ઉતરી તપાસ ચલાવી રહી છે, તો બીજી તરફ ગુજરાત અને અન્ય 5 રાજ્યોમાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કુલ 16 ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસનો દોર શરૂ થતાં લઠ્ઠાકાંડ મામલે આગામી સમયમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા અને કાર્યવાહી સામે આવવાની શક્યતા છે.  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *