ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરાની શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ખાતે તા. ૨૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરાશે. આ પ્રસંગે સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક ભવ્ય સંસ્કૃત યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના મહત્વ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ગોધરા APMC ચેરમેન માલવદીપસિંહ રાહુલજી અને પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને અભિરુચિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આપણી સમૃદ્ધ સંસ્કૃત પરંપરા અને સાંસ્કૃતિક વારસાના જતનનું મહત્વ સમજાવ્યું હતું. વિકાસ સાથે વિરાસતનું પણ જતન થાય અને નવી પેઢી આપણી સમૃદ્ધ સંસ્કૃત પરંપરા સાથે જોડાય તેવા સંદેશ સાથે પંચમહાલમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ હતી.
પંચમહાલમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન:વિદ્યાર્થીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજાઈ
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
